ગાંધીનગરઃ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સારા સમચારા આવી ગયા છે. સરકારી યુનિ.ઓ અને તેમજ સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચના બાકી એરિયર્સના નાણા ચુકવવા સરકારે આજે જાહેરાત કરી છે. વિધાનસભામાં સત્ર દરમિયાન શિક્ષણમંત્રીએ આ જાહેરાત કરી હતી. મળવાપાત્ર કુલ એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ચુકવાશે અને જે 452 કરોડ જેટલું થાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા 2016માં લાગુ 7મા પગાર પંચ હેઠળ રાજ્યની સરકારી યુનિ.ઓ અને સંલગ્ન તમામ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ નવુ પગાર ધોરણ આપી દેવાયુ છે પરંતુ આગળની અસરથી અમલી હોઈ તે રીતે એરિયર્સના નાણા ચુકવવાના બાકી હતા.ઘણા સમયથી અધ્યાપકો દ્વારા સરકારને એરિયર્સ માટે રજૂઆત કરવામા આવી રહી હતી. દરમિયાન આજે વિધાનસભા સત્રમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ બાકી એરિયર્સના નાણા ચુકવવા જાહેરાત કરી છે.
રાજ્યની યુનિ.ઓ અને યુનિ.ઓ સંલગ્ન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોને યુજીસીની ભલામણ મુજબ કેન્દ્રિય સાતમા પગાર પંચના પગાર સુધારણાનો લાભ આપવામા આવતા હવે એરિયર્સ પણ ચુકવી દેવાશે. શિક્ષણમંત્રીએ જણાવ્યુ કે કોરોના મહામારીને લીધે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે તેમ છતાં શૈક્ષણિક હિતોને ધ્યામાં રાખી રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ લાભ શિક્ષણ વિભાગના 1-2-2019ના ઠરાવ મુજબ તા.1-1-2016થી આપવામાં આવશે. મળવાપાત્ર કુલ એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ચુકવવામા આવશે. 50 ટકા લેખે હાલ આ રકમ 452 કરોડ જેટલી થાય છે.
સરકારે બાકી એરિયર્સ ચુકવવાની કરેલી જાહેરાત માત્ર ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી હેઠળની સરકારી કોલેજો અને ગ્રાન્ટેડ કોલેજો તેમજ યુનિ.ઓના અધ્યાપકો માટેની જ છે. હાલ ઉચ્ચ શિક્ષણ માટેના અધ્યાપકોને એરિયર્સ આપવા મંજૂરી અપાઈ છે.જો કે હંમેશા પ્રથમ ઉચ્ચ શિક્ષણના અધ્યાપકો માટે મંજૂરી અપાતી હોય છે પછીથી ટેકનિકલ શિક્ષણના અધ્યાપકો માટે જાહેરાત થતી હોય છે.
સરકારી ડિગ્રી-ડિપ્લોમા ટેકનિકલ કોલેજોના અધ્યાકોની ફરિયાદ છે કે 20 માર્ચ 2020ના ઠરાવ અનવ્યે સરકારે સાતમા પગારપંચના એરિયર્સના નાણા મે 2020, ઓગસ્ટ 2020 તથા નવે. 2020 એમ કુલ 3 હપત્તામાં ચુકવવા ઠરાવેલ છે પરંતુ હજ સુધી એરિયર્સનો એક પણ હપ્તો ચુકવાયો નથી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે થોડા સમયમાં ટેકનિકલ શિક્ષણના અધ્યાપકોને એરિયર્સના નાણા ચુકવી દેવાશે.