માં મારે ઘરે આવવું છે :ગાંધીનગરમાં સ્વામિનારાયણ મંદિર પાસે દોઢ વર્ષના બાળકને તરછોડી યુવક ફરાર, બાળકને મૂકીને જતો શખ્સ CCTV માં કેદ
બાળકને મૂકીને જતો શખસની શોધખોળ માટે LCB, SOG, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો કામે લાગી
ગાંધીનગર શહેરના પેથાપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે અજાણી વ્યક્તિએ દોઢ વર્ષના બાળકને મૂકીને ફરાર થયો.આ થયેલી ઘટના અંગે ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી છે. રાજ્યભરની પોલીસને બાળકના ફોટોગ્રાફ મોકલીને તપાસની જાણ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઘટના અંગે પૂછપરછ કરવા માટે મોડી રાત સુધી સતત પોલીસના સંપર્કમાં હતા. ગાંધીનગર એલસીબી, એસઓજી, મહિલા અને પેથાપુર પોલીસની ટીમો દોઢ વર્ષના બાળકના માતાપિતા અને ત્યાંથી નીકળી ગયેલા વ્યક્તિને શોધવા માટે તૈનાત કરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું હતું કે આ રીતે બાળકને છોડવામાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. જિલ્લામાં લગાવવામાં આવેલા સીસીટીવી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે વ્યક્તિએ બાળકને પડતું મૂક્યું તે ટૂંક સમયમાં પકડાઈ જશે. હું ખાતરી આપું છું કે આરોપીને સજા કરવામાં આવશે. ગાંધીનગર શહેરના તમામ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહી છે. સ્થાનિક ભાજપની મહિલા કાઉન્સિલર, તેના પતિ અને મહિલા પોલીસ ગઈ રાતથી બાળકની સંભાળ લઈ રહ્યા છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને બાળકની સંભાળ વિશે પૂછપરછ કરી હતી.
બાળકના માતા -પિતાની હજુ સુધી જાણ થઈ નથી
નવરાત્રિના બીજા દિવસે શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાના સુમારે ગાંધીનગર નજીકના પેથાપુર સ્વામિનારાયણ મંદિર પાસે દોઢ વર્ષનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ માસૂમના માતા-પિતા મળ્યા નથી.આખરે આ બાળક કોણ છે એ સવાલ ઊઠી રહ્યો છે. ગાંધીનગર પોલીસ બાળકને ત્યજી દેનાર વ્યક્તિની શોધ કરી રહી છે. હાલ સીસીટીવીના આધારે તપાસ ચાલી રહી છે. આ સાથે પ્રાથમિક સ્તરે સિવિલમાં પોલીસ દ્વારા બાળકની મેડિકલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.નાનકડા ફૂલ જેવો બાળકને મૂકીને ફરાર થનાર શખ્સ જીવ કેમ ચાલ્યો હશે .અને આ બાળકને મંદિરમાં કેમ રાખવામાં આવ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સોસાયટીના સભ્યોએ બાળકને જોતા પોલીસને જાણ કરી
આ મામલે પ્રતિક્રિયા આપતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે પોલીસે તપાસ શરૂ કરી છે. આસપાસના લોકોની મદદથી બાળકને વધુ સારી જગ્યાએ લઈ જવામાં આવ્યું છે. અમે એ પણ તપાસ કરીશું કે કયા કારણોસર મૂકીને ભાગી ગયો છે .જ્યારે સોસાયટીના લોકોએ તેને જોયો ત્યારે તેઓએ પોલીસને આ બાબતની જાણ કરી. હાલ પોલીસે અલગ અલગ એંગલથી તપાસ શરુ કરવામાં આવી છે. અમે મીડિયા દ્વારા લોકોને અપીલ કરીએ છીએ કે જો તેમની પાસે કોઈ માહિતી હોય તો અમને જણાવો. જલદીમાં જલદી બાળકને તેનાં માતા-પિતા મળી જાય એવો અમારો પ્રયાસ રહેશે.