આંગણવાડીઓમાં બેદરકારીના ચોંકાવનારા દૃશ્યો
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાને સરકાર દ્વારા મહત્વકાંક્ષી તાલુકો જાહેર કરવામાં આવ્યો છે, જેથી કરીને અહીંના બાળકો, મહિલાઓ અને ગ્રામિણ સમાજનો સર્વાંગી વિકાસ થઈ શકે. પરંતુ સ્થાનિક સ્તરે જોવાતી પરિસ્થિતિ બિલકુલ વિરુદ્ધ દિશામાં સંકેત આપે છે. કાગળ ઉપર યોજનાઓ ભરપૂર હોવા છતાં, વાસ્તવિક અમલમાં ગંભીર ખામી નજરે ચડે છે, ખાસ કરીને આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા પોસ્ટિક આહારના વિતરણમાં ભારે બેદરકારી જોવા મળે છે.
જૂના નાસ્તાના પેકેટ અને પડેલું દૂધ ચેતવનારૂ દૃશ્ય
ગરબાડા તાલુકાના અનેક ગામોની આંગણવાડીઓની મુલાકાત દરમિયાન બે થી ત્રણ મહિના જૂના નાસ્તાના પેકેટો વિતરણ કર્યા વગર જ પડેલા જોવા મળ્યા હતા. સવારના સમયે આપવામાં આવતું સંજીવની દૂધ બપોર સુધી સ્પર્શ્યા વગર જ રહેતું હતું, જેનાથી દૂધ પીવાથી બાળકો વંચિત રહી જાય છે. કોઈ આંગણવાડીઓમાં તો બાળકોના હિસ્સાનું દૂધ કૂતરાઓને નાખવામાં આવે છે તેવા ફોટા પણ સોશિયલ મીડિયા પર પ્રસરી ચૂક્યા છે, જે સમગ્ર તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઉભો કરે છે.
અધિકારીઓની દેખરેખ ક્યાં ગાયબ થઈ ગઈ?
આંગણવાડીઓને સરકાર દ્વારા આપવામાં આવતી મદદનો ઉદ્દેશ બાળકોના યોગ્ય પોષણ અને તેમના સ્વસ્થ વિકાસ માટે છે. પરંતુ જ્યારે નાસ્તા અને દૂધના સંચાલનમાં આવી બેદરકારી જોવા મળે ત્યારે સ્પષ્ટ થાય છે કે દેખરેખ તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ થઈ રહ્યું છે. સુપરવાઈઝર અને પ્રોગ્રામ ઓફિસર જેવી મહત્વની ભૂમિકામાં રહેલા અધિકારીઓ દ્વારા નિયમિત મુલાકાત ન લેવાય તો આવા કિસ્સાઓ વધી શકે છે. ખાસ કરીને આંતરિયાળ વિસ્તારોમાં ઘણી આંગણવાડીઓ સમયસર ખુલતી પણ નથી, જે તપાસનો ગંભીર વિષય છે.
બાળકોના ભવિષ્ય સાથે રમાતો બેદરકારીનો ખેલ
આ પરિસ્થિતિ માત્ર એક વ્યવસ્થાગત ક્ષતિ નથી, પરંતુ બાળકોના આરોગ્ય, વિકાસ અને ભવિષ્ય સાથેનો સીધો અન્યાય છે. સરકારની યોજનાઓનો મૂળ ધ્યેય કુપોષણ ઘટાડવાનું છે, પરંતુ આંગણવાડી સ્તરે થતી આવી ગેરવહીવટથી એ જ બાળકો અસરગ્રસ્ત બની રહ્યા છે, જેઓને પોષણની સૌથી વધુ જરૂર છે. સમય રહેતાં આ મુદ્દાને ગંભીરતાથી ઉકેલવામાં નહિ આવે તો ગ્રામિણ વિસ્તારોનો વિકાસ માત્ર કાગળ ઉપર જ સિમિત રહી જશે.

