નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે આવતીકાલે તા.૩ એપ્રિલને સોમવારના રોજ ગુજકેટની પરીક્ષા માટે સવારના ૧૦:૦૦ થી બપોરના ૧૬:૦૦ કલાક સુધી જિલ્લામાં ત્રણ સેશનમાં નિયત કરેલી છે.
પરીક્ષા સ્થળો આદર્શ નિવાસી શાળા-રાજપીપલા, શ્રી એમ.આર.મહીડા કન્યા વિનય મંદિર-રાજપીપલા, સરકારી હાઈસ્કૂલ-રાજપીપલા અને નવદુર્ગા હાઈસ્કૂલ-રાજપીપલા ખાતે યોજવામાં આવશે.
ગેરરીતીઓથી પરીક્ષાર્થીઓને કોઇ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય અને પરીક્ષા કેન્દ્ર સ્થળો પર બેસતા પરીક્ષાર્થીઓને પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની આવશ્યક્તાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયા છે.
આ સ્થળોએ કાલે સવારના ૦૯:૦૦ કલાકથી સાંજના ૧૭.૦૦ કલાક સુધી નર્મદા જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોમાં તેના માલિકો, સંચાલકો જાહેર પરીક્ષાને લગતા કોઈ પણ સાહિત્ય, પ્રશ્નપત્ર, જવાબવહી તથા કાપલીઓની ઝેરોક્ષ નકલ કાઢી શકશે નહીં.
પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા ફરમાવાયું છે. પરીક્ષા કેન્દ્રોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી હુકમ ફરમાવ્યો છે.
પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવા, કોઈપણ ઈસમે કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા, લેખન કાર્યમાં અડચણ તેમજ લાઉડસ્પીકર વગાડવા વગેરે પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવા કે કરાવવામાં મદદગારી કરવા જેવા કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ કાનુની કાર્યવાહી થશે.