ચીનનું વધુ એક નાપાક કૃત્ય સામે આવ્યું છે. રમઝાન મહિનામાં ચીન પોતાના દેશમાં રહેતા ઉઇગર મુસ્લિમોને રોજા રાખવા પર પણ પ્રતિબંધ લગાવી રહ્યું છે. ચીનની પોલીસ આ ઉઇગર મુસ્લિમોને રમઝાન મહિનામાં રોજા કરતા રોકવા માટે જાસૂસોનો ઉપયોગ કરી રહી છે. ભારતના પાડોશી દેશ ચીનના આ કરતૂતનો ખુલાસો રેડિયો ફ્રી એશિયાના એક રિપોર્ટમાં થયો છે. ચીનના પૂર્વ શિનજિયાંગ સ્થિત રેડિયો ફ્રી એશિયાએ એક પોલીસ અધિકારીને ટાંકીને કહ્યું કે ચીન જાસૂસોનો ઉપયોગ કરી રહ્યું છે. ચીનના અધિકારીઓ આવા લોકોને ‘કાન’ કહે છે. રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે અમારી પાસે ઘણા સિક્રેટ એજન્ટ છે.
ચીને 2017થી રોજા પર પ્રતિબંધ મૂક્યો છે
રિપોર્ટ અનુસાર, ઉઇગર મુસ્લિમોની સંસ્કૃતિ, ભાષા અને ધર્મને ખતમ કરવા માટે, 2017માં ચીને શિનજિયાંગ પ્રાંતના મુસ્લિમોને રમઝાન દરમિયાન રોજા પર પ્રતિબંધ મૂકવાની શરૂઆત કરી હતી. આ સમય દરમિયાન, ઉઇગરોને ‘ફરીથી શિક્ષિત’ કરવા માટે, અધિકારીઓએ તેમને શિબિરોમાં બંધ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, ચીની અધિકારીઓએ 2021 અને 2022 માં પ્રતિબંધોને આંશિક રીતે હળવા કર્યા હતા. ત્યારબાદ 65 વર્ષથી વધુ ઉંમરના મુસ્લિમોને રોજા રાખવાની પરવાનગી આપવામાં આવી હતી. પોલીસે ઘરની તલાશી અને રોડ પેટ્રોલિંગની સંખ્યામાં પણ ઘટાડો કર્યો હતો. રેડિયો ફ્રી એશિયાએ પોલીસ સ્ટેશનના એક રાજકીય અધિકારીને ટાંકીને કહ્યું કે આ વર્ષે ચીનની સરકારે વય, લિંગ અને વ્યવસાયને ધ્યાનમાં લીધા વિના રોજા પર “પ્રતિબંધ” મૂક્યો છે.
દરેક ગામમાં જાસૂસો તૈનાત, જે રોજા કરનારાઓ પર નજર રાખે
તુર્પન સિટી બજાર પોલીસ સ્ટેશનના કર્મચારી અનુસાર, રમઝાનના પ્રથમ સપ્તાહ દરમિયાન, ચીની અધિકારીઓએ 56 મુસ્લિમો અને ભૂતપૂર્વ કેદીઓને પૂછપરછ માટે બોલાવ્યા અને જણાવ્યું કે તેમાંથી 54 લોકોએ રોજા કરીને કાયદો તોડ્યો છે. તુર્પનના પોલીસ સ્ટેશનોએ પણ દરેક ગામમાં બે થી ત્રણ જાસૂસો તૈનાત કર્યા છે. જેઓ રમઝાનમાં રોજા રાખનારા, અટકાયતમાં લેવાયેલા અને જેલમાંથી મુક્ત થયેલા લોકોની ગતિવિધિઓ પર નજર રાખે છે.
ભાષાના અવરોધને કારણે ઉઇગરોને જ જાસૂસ બનાવ્યા
તુર્પન અધિકારીના જણાવ્યા અનુસાર, ચીની પોલીસે, ભાષાના અવરોધને કારણે, માત્ર ઉઇગરોને જ રાખ્યા છે, જેઓ જાસૂસી કરે છે અને પોલીસને જાણ કરે છે. અધિકારીએ વધુમાં કહ્યું કે ‘મારા કાર્યસ્થળ પર લગભગ 80 ઉઇગર પોલીસકર્મીઓ છે જેઓ સીધા અમારા ‘કાન’ બન્યા છે અને અમને આવી દરેક પ્રવૃત્તિનો રિપોર્ટ આપે છે. ઉઇગર મુસ્લિમોને રમઝાનમાં રોજ કરતા રોકવા માટે ઘણા જાસૂસોની ભરતી કરવામાં આવી છે. કેટલાક ગામોમાં તો 5 જેટલા જાસૂસો પણ છે. રમઝાન દરમિયાન રોજા રાખીને કરીને કાયદો તોડનારા લોકો પર પોલીસ નજર રાખી રહી છે.