અમદાવાદ એરપોર્ટ પર હરિદ્વાર થી આવી પહોંચેલા પીએમ મોદી ના ભાઇ પ્રહલાદ મોદી પાસે અદાણીના કર્મચારીઓએ રૂ.90 પાર્કિંગ ચાર્જ માંગતા તેઓ એ ચાર્જ આપવાનો ઈન્કાર કરી કહ્યું હતું કે, મેં એરપોર્ટ પર ગાડી પાર્ક કરી જ નથી, હું રોડ ટેક્સ ભરું છું તો પછી પાર્કિંગ ચાર્જ શેનો ? જોકે, PM મોદીજી ના ભાઈ હોવાથી અદાણી ના માણસો પણ ગભરાયા હતા અને 90 રૂપિયા માં લાંબી માથાકૂટ કર્યા વગર પાર્કિંગ ચાર્જ માફ કરી દઈ 90 રૂપિયા લીધા વગર જવા દેવાયા હતા.
પ્રહલાદ મોદી ગઈકાલે હરિદ્વારથી આવ્યા બાદ ટર્મિનલમાંથી બહાર નીકળી કાર મગાવી હતી અને કારમાં બેસીને બહાર નીકળતા હતા ત્યારે પાર્કિંગ ટોલ બૂથ પર અદાણીના માણસોએ પાર્કિંગ ચાર્જ પેટે તેમની પાસે 90 રૂપિયા માગ્યા હતા.
ત્યારે તેમણે જણાવ્યું હતું કે, મારી ગાડી 10 મિનિટ પણ ત્યાં રોકાઈ નથી તો પાર્કિંગ ચાર્જ શું કામ આપું? જો કાર અડધો કે એક કલાક પાર્કિંગમાં મુકી હોય તો પાર્કિંગ ચાર્જ આપવાનો થાય પરંતુ પાર્કિંગમાં કાર મુકી જ નથી તો ચાર્જ શું કામ ? અદાણીને એરપોર્ટનું સંચાલન કરવા માટે આપ્યું છે, તો ટર્મિનલની અંદરની વ્યવસ્થામાં ધ્યાન આપે. બહાર આવતા વાહનો પાસે સરકાર રોડ ટેક્સ વસૂલે છે. આ વિવાદ દરમિયાન પાર્કિંગ કર્મચારીઓએ અધિકારીને ફોન કરી કાર જમા કરવાની વાત કરતા, પ્રહલાદ મોદીએ કહ્યું કે, તમે કાર જમા લઈ કેસ કરી શકો છે પરંતુ હું ચાર્જ તો નહીં જ ચૂકવું. જો કે આ સમય દરમિયાન અધિકારીનો સંપર્ક ન થતા છેવટે ચાર્જ લીધા વગર તેમને જવા દીધા હતા.
તેઓ એ કહ્યું કે રોડ ટેક્સ લીધા બાદ શેના આ બધા ચાર્જ લગાડ્યા છે તે સમજાતું નથી.
