અમદાવાદ માં કોરોના નું સંક્રમણ વધી જતાં હવે ધુળેટી નું પર્વ મનાવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે તેમછતાં જો કોઈ પર્વ ઉજવવાની કોશિશ કરશે તો તેઓ સામે કડક કાર્યવાહી ના સંકેત આપી દેવામાં આવ્યા છે.
તંત્ર નું માનીએ તો વધતા કોરોના ના કેસોને ધ્યાનમાં રાખી ધૂળેટીના તહેવાર ઉજવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામા અને ગાઈડલાઈનનો અમલ કરવા કોર્પોરેશન અને શહેર પોલીસ કડક કાર્યવાહી કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોટી સોસાયટીઓમાં લોકો હોળી રમતાં પકડાશે તો તેમની સામે કાર્યવાહી કરી અને ગટર તેમજ પાણીના કનેકશન કાપી નાખવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આજે 200થી વધુ પોલીસ અને AMCની ટીમો શહેરના તમામ ઝોનમાં ફરશે અને જે પણ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અનેક મંદિરોમાં ગુલાલ અને રંગ સાથે હોળી રમી શકાશે નહી,તમામ મંદિરોને સુચનાઓ આપવામાં આવી છે. શહેરમાં આવેલી મોટી ક્લબ, પાર્ટી પ્લોટ, સમાજની વાડી, સ્વિમિંગ પૂલ સહિતના સ્થળોએ ઉજવણીના કાર્યક્રમો બંધ રહેશે.સોસાયટીઓમાં પણ ટોળા વળીને પાણી કે કલરથી કરાતી હોળીની ઉજવણી બંધ રાખવામાં આવી છે. સોશિયલ મીડીયા કે મીડિયાના માધ્યમથી જો લોકો હોળી ધૂળેટીનો તહેવાર ઉજવતાં ધ્યાને આવશે તો તેને આધાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે.
