રાજ્ય સરકારે સરકાર ગાઇડલાઇન અનુસાર લોકોને ઉત્તરાયણની ઉજવણી કરવા અપીલ કરી છે. રાજ્યમા કોરોના મહામારીના પોઝિટિવ કેસોનો આંકડો સતત ઓછો થઇ રહ્યો છે પરંતુ રાજ્ય સરકારે આ મહામારી ફરી માથુ ઉંચકે નહી તે માટે લોકોને સાવચેત રહી તહેવારોની ઉજવણી કરવાની અપીલ કરી છે ત્યારે ઉત્તરાયણ મુદ્દે હાઈકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો છે, ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા અનુસાર, કોરોના મહામારીમાં ઉત્તરાયણની ઉજવણી ધાબા, મેદાન અને રસ્તા પર નહીં કરી શકાય. સાથે જ ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શક્શે નહીં. અને લાઉડ સ્પીકર વગાડવા પર પણ સરકારે પ્રતિબંધ મૂક્યો છે.
ઉત્તરાયણની ઉજવણીમાં મહત્વના ગણાતા પતંગ પર ધાર્મિક લાગણી દુભાય તેવુ લખાણ નહીં લખી શકાય. જો કોઇ આવું કરશે તો તેની વિરૂદ્ધ પગલાં ભરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પતંગ-દોરાની વેચાણ પર પ્રતિબંધની માગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે ગુજરાતના પતંગ ઉત્પાદકોના એસોએસિએશને હાઇકોર્ટમાં પિટિશન કરી છે. તેમની માગણી છે કે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો લોકોની જીવાદોરીનો આધાર ઉત્તરાયણના તહેવારની ઉજવણી છે. તેથી હાઇકોર્ટે ઉજવણી કે પતંગ-દોરાના વેચાણ પર પ્રતિબંધ ન ફરમાવવો જોઇએ. આ કેસની આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી. ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં. પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં. ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં. ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે. 11, 12, 13 અને14 જાન્યુઆરીના રોજ રાત્રિ કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.
હાઈકોર્ટે કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ અને કો-મોર્બોડિટી ધરાવતા લોકો ધાબે ન જાય તે હિતાવહ છે. અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.
એડવોકેટ જનરલે નિવેદન આપ્યું કે, એક વર્ષમાં 640 કરોડ રૂપિયાથી વધુના પતંગ વેચાય છે એક લાખથી વધુ લોકોને રોજગારી મળે છે તેમને રોજગારી છીનવાઈ તે યોગ્ય નથી. આમ કોરોના ગાઈડલાઈન પાળી ઉત્તરાયણ ઉજવી શકાશે.