સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળશે પરંતુ સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણના બીજા જ દિવસે આજે કોન્ટ્રાક્ટરે 200 જેટલા આદિવાસી કામદારોને છુટ્ટા કરતા હોબાળો મચી ગયો હતો. જોકે પોલીસની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો હતો.
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કેવડિયા ખાતે ગઇકાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ કોન્ટ્રાક્ટરોએ આજે સ્થાનિક કામદોરને કામમાં આવવા માટે પ્રતિબંધ મુક્યો હતો. જેથી 200 જેટલા સ્થાનિક આદિવાસીઓને કામમાંથી છુટ્ટા કરીને બહારના લોકોની ભરતી કરી હતી. જેથી સ્થાનિક આદિવાસી કામદારો હોબાળો મચાવ્યો હતો. અને તમામ ભરતીમાં સ્થાનિકોને પહેલી પસંદગી મળે તેવી માંગ કરી હતી. એક સમયે પરિસ્થિતિ બગડતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.