ગાંધીધામમાં નાણાની ઉઘરાણી બાબતે ત્રણ કારમાં તલવાર, ધારિયા જેવા હથિયાર સાથે આવેલા 40 થી 50 જણાએ હુમલો કરી ત્રણ જણાને ઇજા પહોંચાડી હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે.
વિગતો મુજબ મુળ રાધનપુરના હાલ ગોપાલપુરીમાં રહેતા મુકેશભાઇ કેશવભાઇ મકવાણા (વાલ્મિકી) એ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જુસબ ઉર્ફે યુસુફ સંઘાર અવાર નવાર તેણે આપેલા નાણાની ઉઘરાણી કરતો હોઇ ઇબ્રાહિમ કુંભાર, રફિક કુંભાર, કાસમ કુંભાર, અકબર કુંભાર , હાજી કુંભાર અને તેમની સાથે 40 થી 50 જણા તલવાર, ધારીયા અને લાકડી લઇને ટાગોર રોડ પર આવ્યા હતા અને જુસબને ઘેરી લઇ હુમલો કરી કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી. આ ઘટનામાં પોતે અને સુધીરાજસિંહ જાડેજા વચ્ચે આવ્યા તો તેમને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે જાતિ અપમાનિત કર્યા હતા.
આ અંગે વિડીયો વાયરલ થયો હતો.
બીજી તરફ કાર્ગો એકતાનગરમાં રહેતા ઇબ્રાહિમ હાસમભાઇ કુંભારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પૈસાની લેતી દેતી મુદ્દે જુસબ ઉર્ફે બોડીગાર્ડ સંઘાર જેના પુરા નામનો ખ્યાલ નથી તેમણે ફોન પર તેમની સાથે ગાળો બોલી ઝઘડો કર્યા બાદ ગુડ્સ સાઇટ પુલ પાસે તેમના મામા કાસમ હુસેન કુંભાર, સલીમ હુસેન કુંભાર ફરિયાદીના સગા ભાઇ કાદર હાસમ કુંભાર અને રફિક હાસમ કુંભાર સાથે મારામારી કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બી-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.