સુરતમાં ભાજપે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નગર સેવકો પર પ્રહારો કરીને તેમના કાળા કૃત્યો દુનિયાની સામે મૂક્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા શિક્ષણ ક્ષેત્રની નબળી વ્યવસ્થા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપના ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો હોવાનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શનિવારે કોર્પોરેટર જગદીશ કુકડિયા અને ભાવેશ ઇટાલિયા પર ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા હતા. ભાજપની આ કાયરતા સામે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. આમ આદમી પાર્ટી શરૂઆતથી જ ભાજપની ગુંડાગીરી સામે લડતી આવી છે અને હંમેશા લડતી રહેશે એમ તેઓએ ઉમેર્યું હતું.
દરમિયાન આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મંત્રી રામ ધડુક, સહમંત્રી રાકેશ હિરપરા ની સાથે સંગઠનના નેતા અને કાર્યકર્તાઓ કોર્પોરેટરો પરના હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવા કમિશનર કચેરીએ જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અધવચ્ચે જ અટકાયત કરવામાં આવી અને ભાજપે વધુ એક વાર તેના તાનાશાહી વલણનો પુરાવો આપ્યો. ભાજપ સરકાર દ્વારા ફરી એકવાર શાંતિપૂર્ણ વિરોધને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અમે અમારો અવાજ દબાવવા નહીં દઈએ એમ જણાવ્યું હતું.
આજે ગુજરાતમાં એવું વાતાવરણ બની ગયું છે કે સરકાર વિરુદ્ધ અને સરકારની ભ્રષ્ટ નીતિઓ સામે કંઈપણ બોલવું એ ગુનો બની ગયો છે. અમારા કોર્પોરેટરે જનતા માટે અવાજ ઉઠાવ્યો હતો. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ ગુજરાતમાં શાળા શિક્ષણની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા. નબળી શિક્ષણ વ્યવસ્થા પર સવાલ ઉઠાવવો શું ગુનો છે? ભાજપ સરકારે તેની શિક્ષણનીતિમાં બદલાવ લાવવો પડશે.
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપે તાનાશાહી રીતે શાસન કર્યું છે. ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા પ્રજાના પ્રશ્નો હંમેશા દબાવવામાં આવે છે. જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં આવી છે ત્યારથી તેણે એક જ ધ્યેય રાખ્યું છે કે લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ અને તે કામ કરવામાં આમ આદમી પાર્ટી સફળ પણ રહી છે. જેના કારણે ભાજપ નારાજ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલા કરવા વારંવાર પોતાના ગુંડાઓને મોકલે છે અને જ્યારે આમ આદમી પાર્ટી શાંતિપૂર્ણ યાત્રા નીકાળે છે ત્યારે તેમાં પણ પોલીસ ભાજપ સરકાર ના ઇશારે આમ આદમી પાર્ટી પર દમન કરે છે.
આજે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટીની ઈમાનદારીના કારણે ભાજપમાં ભયંકર નારાજગી છે અને આવનારી ચૂંટણીમાં ભાજપને કરારી હાર નો ડર છે અને આ ડરને કારણે તે આટલા નીચા વર્ગના કાર્ય કરી રહી છે. ભાજપની આવી હરકતો થી આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે. આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઐતિહાસિક જીત મેળવીને ગુજરાતને ભાજપની તાનાશાહી માંથી મુક્ત કરાવશે તેમ ઉમેર્યું હતું.