અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટ્યુ છે જો કે સાવધાની રાખવાની જરૂર છે. ગુજરાતમાં આજે 14 એપ્રિલના રોજ 7410 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3,67,616 લાખ થઇ ગઇ છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 73 દર્દીઓના મોત થયા છે જે એક દિવસમાં સૌથી વધુ કોરોનાનો મૃત્યાંક છે. આજે અમદાવાદમાં 25, સુરતમાં 25, રાજકોટમાં 9, વડોદરામાં 7, જૂનાગઢમાં 2, અમરેલી, ડાંગ, ગાંધીનગરમાં 1-1 દર્દીનું સંક્રમણથી મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4995 પહોંચી ગયો છે.
આ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 2642 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 3,23,371 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 87.96 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 39,250 પહોંચી ગઇ છે અને જેમાંથી હાલમાં 254 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે 1,66,698 લોકોને કોરોના રસી મૂકવામાં આવી છે. જેમાં આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 1,18,004 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 39,630 વ્યક્તિઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 85,29,083 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 12,03,865 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 97,32,548 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.