ગાંધીનગરઃ દિવાળી બાદ ગુજરાતમા કોરોના વાયરસનું સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે અને નવા સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આજે ગુજરાતમાં કોરોના વાયરસે ફરી નવો રેકોર્ડ બનાવ્યો છે અને સંક્રમિતોની કુલ સંખ્યા બે લાખને વટાવી ગઇ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મંગળવારે ફરી 1510 વધુ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાવતા હાહાકાર મચ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,00,409 લાખે પહોંચી ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1286 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,82,473 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.05 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ 16 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 12, સુરતમાં કુલ 3, બોટાદમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3892 લોકોને ભરખી ગયો છે. આજે ગુજરાતમાં કોરોનાથી થયેલ કુલ મોતમાં સૌથી વધુ અમદાવાદના દર્દીઓના મોત થયા છે..
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા સોમવારે વધીને 13,836 પહોંચી ગઇ હતી જે મંગળવારે ફરી વધીને 14,044 એ પહોંચી ગઇ છે, જેમાંથી હાલમાં 94 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 84,625 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 73,89,303 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,93,337 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,93,230ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 107 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.