ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ચિંતાજનક દરે વધતા અમદાવાદમાં આજથી તેમજ રાજકોટ, વડોદરા અને સુરતમાં આવતીકાલથી રાત્રી કરફ્યુ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસ ફરી ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને સંક્રમણ વધતા ફરી એકવાર 24 કલાકમાં રેકોર્ડબ્રેક નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્યમાં આજે ગુરુવારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1420 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 1,94,402 લાખ થઇ ગઇ છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1040 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,77,515 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.31 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 3, સુરતમાં 2 અને પાટણમાં 1 અને રાજકોટમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 3837 લોકોને ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ મોત અમદાવાદ અને ત્યારબાદ સુરતમાં નોંધાયા છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ફરી 13 હજારને વટાવી ગઇ છે અને આજે 13,050 પહોંચી ગઇ છે, જેમાંથી હાલમાં 92 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 71,01,057 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,93,738 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,93,643ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 95 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.