અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ સતત ઘટી રહ્યા છે. ગુજરાતમાં આજે 16 જુલાઇ, 2021ના રોજ 38 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,24,384 લાખ થઇ ગઇ છે.
ગુજરાતમાં હવે સપ્તાહમાં બે દિવસ બુધવારે અને રવિવારે કોરોના રસીકરણ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં આજે કુલ 3,86,712 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે 18થી 45 વર્ષ સુધીના 1,71,690 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 8,627 વ્યક્તિઓને બીજો ડોઝ મૂકવામાં આવ્યો છે. તો 45થી વધુ વયના કુલ 1,23,902 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 71,190 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2,87,54,257 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 90 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,13,673 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.70 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણથી આજે ગુરુવારે એક પણ દર્દીનું મોત થયુ નથી. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10074 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 637 થઇ છે અને જેમાંથી હાલમાં 08 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.