ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી કોરોના વાયરસનો વિસ્ફોટ થઇ રહ્યો છે અને સંક્રમિત દર્દીઓની સાથે-સાથે મૃતકોની સંખ્યામાં પણ ચિંતાજનક દરે વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં આજે શનિવારે 1514 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,17,333 લાખે પહોંચી ગઇ છે. કોરોનાના નવા કેસોની સાથે સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ ચિંતાજનક દરે વધી રહી છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1535 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 1,98,527 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 91.35 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી વધુ 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં કુલ 9, સુરતમાં કુલ 2, રાજકોટમાં 3 અને અરવલ્લીમાં 1 કોરોના સંક્રમિત દર્દીનું મરણ થયુ છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 4064 લોકોને ભરખી ગયો છે. આજે ગુજરાતમાં કોરોનાથી થયેલ કુલ મોતમાં સૌથી વધુ અમદાવાદના દર્દીઓના મોત થયા છે..
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કેસોની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે 14,742 થઇ ગઇ છે, જેમાંથી હાલમાં 90 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતમાં કુલ 69,668 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 81,72,380 ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,41,064 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 5,40,916ને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 148 લોકોને ફેસીલીટી ક્વોરેન્ટીનમાં રાખવામાં આવ્યા છે.