અમદાવાદઃ ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. સતત પાંચ દિવસથી રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોનો આંકડો 400ની નીચે છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં 100થી નીચે કેસ આવ્યા છે. આજે 29મી જાન્યુઆરી, 2020, શુક્રવારના રોજ ગુજરાતમાં નવા 335 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 463 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,52,927 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 96.94 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જો કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3,589 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 42 છે. જ્યારે 3,547 લોકો સ્ટેબલ છે. 2,52,927 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4385 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 01 વ્યક્તિનું કોરોનાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોત નિપજ્યું હતું. મૃત્યુ આંક સતત નીચો જઇ રહ્યો છે