અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમા સતત ચોથા દિવસે 100થી ઓછા દૈનિક કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે 1 જુલાઇ, 2021ના રોજ 84 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 8,23,607 લાખ થઇ ગઇ છે. આજે 18 જીલ્લાઓમાં કોરોના સંક્રમણનો એક પણ નવો કેસ નોંધાયો નથી
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 300 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 8,10,751 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.44 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 3 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 10062 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2794 થઇ છે અને જેમાંથી હાલમાં 11 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે કુલ 2,84,791 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 2,59,62,782 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.