ગાંધીનગરઃ ગુજરાતમાં રસીકરણ અભિયાનની વચ્ચે જીવલેણ કોરોના વાયરસ બેકાબુ બનતા આજે મંગળવારે સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે જે બહુ જ ચિંતાજનક બાબત છે. નવા કેસો વધતા રાજ્યમાં એક્ટિવ કેસો અને મરનાર દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ગુજરાતમાં આજે 30 માર્ચના રોજ કોરોના સંક્રમણના 2220 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા સૌથી કોરોના સંક્રમણના કેસ છે. આમ રાજ્યમાં સતત ચોથા દિવસે રેકોર્ડ બ્રેક નવા કોરોના કેસ નોંધાતા લોકો અને વહીવટીતંત્રમાં ફફડાટ ફેલાયો છે. આજના નવા કેસ આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3,05,338 પહોંચી ગઇ છે. આજે ડાંગ જિલ્લામાં એક નવો કોરોના કેસ કે સંક્રમિત દર્દીનું મોત થયુ નથી.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી 10 દર્દીના મોત થયા છે જે ડિસેમ્બર બાદ એક દિવસમાં સૌથી વધુ કોરોનાનો મૃત્યુઆંક છે. આજે અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં કોરોના સંક્રમણથી 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 4510 થયો છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 1988 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,88,565 પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ ઘટીને 94.51 ટકાના સ્તરે પહોંચ્યો છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કોરોના કેસ નોંધાયા છે.
સતત મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત દર્દીઓ ઉમેરાતા અને એક્ટિવ કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે રાજ્યમાં હવે સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યા પણ વધી રહી છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા વધવાની સાથે-સાથે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે વધીને 12000ને વટાવી ગઇ છે. આજે રાજ્યમાં 12263 કોરોના એક્ટિવ કેસો હતા એટલે કે હાલ વાયરસથી સંક્રમિત આટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી હાલમાં 147 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ આજે 1લી માર્ચથી કોરોના રસીકરણ અભિયાનનો બીજા તબક્કો શરૂ થયો છે. આ રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45 વર્ષથી 60 વર્ષ વય ધરાવતા અને ગંભીર રોગ ધરાવતા વ્યક્તિઓને કોરોના રસી મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગુજરાતમાં કુલ 1,93,968 વ્યક્તિઓને કોરોના રસી મૂકવામાં આવી છે. જેમાં આજે 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,59,057 વ્યક્તિઓને કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી કુલ 47,45,494 વ્યક્તિઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકાયો છે. તો 6,43,855 વ્યક્તિઓના કોરોના વેક્સીનના બીજા ડોઝનનું રસીકરણ પૂર્ણ થયુ છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી 53,89,349 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.