કરચોરો વિરદ્ધ ગુજરાતમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આજે રાજ્યભરના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને બોગસ બિલ બનાવી કરોડો રૂપિયાનું કથિત રીતે રિફંડ મેળવવામાં આવ્યુ હોવાનું કૌભાંડ બહાર આવ્યુ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ગુજરાતમાં અમદાવાદ ભાવનગર, ગાંધીનગર, સુરત, રાજકોટ અને પ્રાંતિજના જુદા જુદા 71 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જીએસટી વિભાગની 80 ટીમો દ્વારા ભાવનગરના 42 સ્થળો પર, અમદાવાદના 17, ગાંધીનગરના 5, સુરતના 4, રાજકોટના 2 અને પ્રાંતિજના 1 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા.
જીએસટી વિભાગના દરોડામાં ભાવનગરના માધવ કોપર લિમિટેડે બોગસ બિલિંગથી આશરે 75 કરોડની વેરાશાખ મેળવી હોવાનુ સામે આવ્યું છે. જે સંદર્ભે ભાવનગરના અફઝલ સાદિક અલી સવજાણીની કુલ 739 કરોડના અને પ્રાંતિજના મીનાબેન રંગસિંહ રાઠોડની કુલ 577 કરોડના બોગસ બિલીંગ વ્યવહારો સંદર્ભે ધરપકડ કરાઇ છે. આ બંનેની ધરપકડ બાદ બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરીને ક્સટોડિયલ ઇન્ટ્રોગેશન માટે રજૂઆત કરાઇ હતી.