ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ત્રણ વર્ષની ટર્મ જુલાઇ મહિનામાં પૂર્ણ થતાં હવે તેમના સ્થાને કોણ આવશે તે અંગે અટકળો શરૂ થઈ છે.
રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ સી.આર.પાટીલની ટર્મ પૂરી થતા હવે નવા અધ્યક્ષ કોણ હશે અને સીઆર પાટીલને હવે પછી કયું પદ મળશે? તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
ભાજપના મોવડીમંડળ દ્વારા આ માટે બેઠક કરીને ગમે ત્યારે નામ નક્કી કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સી.આર પાટીલ પહેલાં જિતુ વાઘાણી અને તેમની પહેલાં ફળદુ પ્રદેશાધ્યક્ષ હતા
જેતે વખતે પાટીલનું નામ પ્રદેશાધ્યક્ષ તરીકે જાહેર થયું તે અગાઉ બધાને એવું હતું કે પાટીદાર અથવા ઓબીસી ચહેરો અધ્યક્ષ માટે આવશે પણ દક્ષિણ ગુજરાતમાંથી એક બિનગુજરાતી નેતા સીઆર પાટીલ પ્રદેશાધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા હતા.
સીઆર પાટીલની કામ કરવાની પદ્ધતિ બીજા નેતાઓ કરતાં સાવ જુદી રહી છે. એવું કહેવાય છે કે તેઓ ચૂંટણીઓ લડતા હતા ત્યારે ઝાઝી સભાઓ યોજતા ન હતા, પણ તેઓ પોતાના નેટવર્કિંગની મદદથી ચૂંટણીઓ જીતી જતા હતા.
સીઆર પાટીલના આવ્યા પછી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ એટલું જ નહીં, જ્યાં-જ્યાં કૉંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા હતા, ત્યાં પણ પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી.
વિધાનસભાની ચૂંટણીઓમાં ઐતિહાસિક જીત થઈ, સ્થાનિકસ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો ભાજપની તરફેણમાં રહ્યાં છે,એ પાટીલની મોટી સફળતા ગણી શકાય.
રાજ્યમાં ભાજપનો પાયો મજબૂત કરનાર સીઆર પાટીલ નાના કાર્યકરોથી લઈ મોટા નેતાઓ સાથે સતત કાર્યરત રહયા છે જે તેઓની સફળતાનું રહસ્ય છે.
હવે સીઆર બાદ કોણ?તે માટે રાજકીય અટકળો તેજ બની છે.