જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શિકારીમાં 65 વર્ષના ખેડૂત વૃદ્ધ પર હુમલો કરી તેમને જમીન ઉપર પછાડી દઈ તેઓ ઉપર થાર જીપ ફેરવી દઈ ફિલ્મી ઢબે હત્યા કરવામા ચકચારી પ્રકરણમાં ત્રણ ઈસમો સામે ફરિયાદ થઈ છે.
જમીનના કબજાના મામલે હત્યા થઈ હોવાનું મૃતકના પુત્ર દ્વારા ફરિયાદમાં જણાવતા મેઘપર પોલીસ દ્વારા હત્યા નો ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વિગતો મુજબ જામનગરમાં જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં રહેતા ભીખાભાઈ બધાભાઈ કેશવાલા નામના 65 વર્ષના વૃદ્ધ ખેડૂત પોતાના લંડનમાં રહેતા ફોઈની ખેતીની જમીન ખેડે છે અને પરિવાર સાથે ત્યાં જ રહે છે અને જમીનનો કબજો ભીખાભાઈ પાસે હતો.
દરમિયાન સાપર ગામનાં બલદેવ સવદાસભાઈ ગોરાણીયા, સંજય સવદાસભાઈ ગોરાણીયા અને તેનો એક સાગરીત આ જમીનનો કબ્જો મેળવવા મુદ્દે બબાલ કરતા હતા અને મોડી રાત્રે બે થી ત્રણ વાગ્યાના અરસામાં તેઓ થાર જીપમાં આવ્યા હતા અને ભીખાભાઈ પર હુમલો કરી તેમને ઘાયલ કરી નાખતા તેઓ નીચે જમીન ઉપર પડી જતા ત્રણેય આરોપીઓએ જીપમાં બેસીને ભીખાભાઈ પર થાર જીપ ફેરવી દીધી હતી આ ઘટનામાં ગંભીર ઇજા પામેલા ભીખાભાઇનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો અને તે અંગે મૃતકના પુત્રએ હત્યારાઓ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.