સૌરાષ્ટ્ર ના ચુડા તાલુકાના કોરડા ગામના કાઠી દરબાર ને કાર અડફેટે લઈ હત્યા કરી દેવાતાં ભારે ચકચાર મચી ગઈ છે.
કાઠી દરબાર ની હત્યા કરનાર આરોપીના કાકા ની વર્ષ-2016માં હત્યા થઈ હતી. જે વાતનો ખાર રાખી બદલો લીધો હોવાની વાત સામે આવી છે, અહીં કોળી અને કાઠીઓ વચ્ચે પાંચ વર્ષ થી વેર હોય આ બનાવ બન્યો હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
ચુડા તાલુકાના કોરડા ગામના રણુભાઈ મેરૂભાઈ ખાચર ભાણેજડા ગામના જૂના માર્ગે આવેલી વાડીએ ગયા હતા અને તેમના ભત્રીજા શિવરાજભાઈ ખાચર ચૂડા જવા માટે રોડ પર ઊભા હતા તે સમયે અજિત કલાભાઈ અણીયાળિયા કાર લઈને તેમની પાસે આવીને ઊભો રહ્યો હતો. અજીતે શિવરાજભાઈને કહ્યું કે તમે કાઠીઓએ 5 વર્ષ પહેલાં મારા કાકાનું ખૂન કર્યું હતું. તેનું પરિણામ અત્યારે શું આવે છે તે તમને થોડીવારમાં ખબર પડશે. તેમ કહી અજીત ભાણેજડા જવાનાં માર્ગે કાર લઈ જતો રહ્યો હતો ત્યારબાદ 15 મિનિટ પછી રણુભાઈ ખાચર લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હોવાની ખબર પડતાં જ શિવરાજભાઈ પોતાના ભાઈને લઈ ઘટનાસ્થળે પહોંચ્યા અને જોયુ તો
માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ રણુભાઈએ શિવરાજભાઈને જણાવ્યું હતું કે તેમને પાછળથી કોઈ કારે જોરદાર ટક્કર મારી હતી. માથાના ભાગે કારનું ટાયર ચડાવી દીધું હતું. ઘાયલ રણુભાઈને સારવાર અર્થે સુદામડા અને ત્યાર બાદ સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર હોસ્પિટલના હાજર ડૉક્ટરે રણુભાઈને મૃત જાહેર કર્યાં હતા.
વિગતો મુજબ પાંચ વર્ષ પહેલા કોરડા ગામે છડેચોક મનસુખભાઈ અણીયાળિયાની હત્યા થઈ હતી ત્યારથી જ કોળી અને કાઠી દરબારો વચ્ચે વેર ચાલ્યુ આવે છે છેલ્લાં 5 વર્ષમાં અનેક વખત બન્ને સમાજના લોકો એકબીજા સામે મારામારી, ફાયરિંગ સહિતની પોલીસ ફરિયાદો થઈ ચૂકી છે.
અગાઉ જાન્યુઆરી 2016માં દૂધ ભરવા જેવી બાબતે માથાકૂટ થતા અજીત કલાભાઈ અણીયાળિયાના કાકા મનસુખભાઈ કડવાભાઈ અણીયાળિયાનું કાઠી દરબારોએ ફરસી, તલવાર, પિસ્તોલ સહિતના હથિયારો વડે હુમલો કરી હત્યા કરી હતી. આ ઘટના બાદ બન્ને સમાજ વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું રહે છે અને પોલીસ ફરિયાદો કરવામાં આવી રહી છે ત્યારે અગાઉ ના મનદુઃખ માં હત્યા નો બનાવ બનતા ગામ માં તંગદીલી ઉભી થઇ છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કોઈ અઘટિત બનાવ ન બને તે માટે ડીવાયએસપી સી.પી.મુંધવા, એલસીબી પીઆઈ ડી.એમ.ઠોલે કોરડા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત દઈ સ્થિતિ ઉપર નજર રાખી રહયા છે.