ડાંગ જિલ્લાના આહવા સ્થિત સેવાધામ ખાતે ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘પ્રાકૃતિક સંશાધન વ્યવસ્થાપન અને પ્રકલ્પ કાર્યાવલોકન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત રહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી અને ઉમેર્યું હતું કે કલાઇમેટ ચેન્જની સ્થિતિ વચ્ચે જળ, જમીન, અને જંગલના જતન સંવર્ધનના કાર્યોમાં સમગ્ર સરકાર તેમની સાથે છે તેમજ સમાજને સ્વાસ્થ્યપ્રદ અન્ન, પાણી મળી રહે તે માટે વડાપ્રધાને ‘મિલેટ વર્ષ’ ની ઉજવણી થકી પ્રાકૃતિક ખેતીને પણ વૈશ્વિક સ્તરે નામના અપાવી છે તેમ ઉમેર્યું હતું.
આદિવાસી વિસ્તારમાં વિકાસના અવનવા પ્રકલ્પોની ઝાંખી રજૂ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડો.આંબેડકર વનવાસી ટ્રસ્ટના સમજોપયોગી કાર્યોમાં સરકાર ખૂટતી કડીનું કાર્ય કરશે, તેમ જણાવી સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. તે દરમિયાન ડો.ગજાનન ડાંગે એ જળ વાયુ પરીવર્તન સાથે જંગલ વિસ્તારની માટીના ધોવાણ અને જંગલની ઘટતી ગીચતા બાબતે સૌએ સાથે મળીને ચિંતા કરવાનો સમય પાકી ગયો છે તેમ જણાવ્યુ હતું. ડો.ડાંગે એ લુપ્ત થતાં ધન ધાન્યને પ્રાકૃતિક ખેતીના નવતર પ્રયોગથી બચાવી શકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ‘સેવાધામ’ ના માધ્યમથી વિવિધ શૈક્ષણિક અને સ્વાસ્થ્ય પ્રકલ્પો સાથે સામાજિક અને સ્વાવલંબન માટેના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે NRM પ્રકલ્પ કાર્યાવલોકન કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો
આહવાના સન્સેટ પોઈન્ટ સ્થિત સેવાધામ ખાતેના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક-વ-ડાંગના ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવિત, પૂર્વમંત્રી પુર્ણેશ મોદી સહિતના મહાનુભાવો અને સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ડો.આંબેડકર વનવાસી કલ્યાણ ટ્રસ્ટના અધ્યક્ષ તુલસી માવાણી, ડો.ગજાનન ડાંગે, યશવંત ચૌધરી, લલિતજી બંસલ સહિતના અગ્રિમ હરોળના સેવાધારીઓ ઉપસ્થિત રહ્યા હતા.