આજકાલ કોરોના બાદ યુવાનોના ટપોટપ મોત થઈ રહયા છે, કોઈ નાચતા નાચતા,કોઈ ગીત ગાતા ગાતા,કોઈ મોર્નિંગ વોક કરતા કરતા કે કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહયા છે ત્યારે આ બધા વચ્ચે એક હાર્ટ સ્પેશ્યાલિસ્ટ યુવાન ડૉક્ટરનું હાર્ટ એટેકથી મોત થતાં ભારે ચકચાર મચી ગઇ છે અને અરેરાટી પણ ફેલાઈ ગઈ છે.
જામનગર એસ.ટી. સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલના જાણીતા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો.ગૌરવ ગાંધી ગઇકાલ રાત સુધી હાર્ટના દર્દીઓની સારવાર કર્યા બાદ અહીંના પેલેસ રોડ સ્થિત સામ્રાજય એપાર્ટમેન્ટના ત્રીજા ફલોર પર પોતાના ઘરે પહોંચ્યા હતા અને રોજની જેમ નોર્મલ રીતે રૂટીન ભોજન લીધા બાદ નિત્યક્રમ મુજબ રાત્રે સુઇ ગયા હતા.
જોકે, વહેલી સવારે 6 વાગ્યે તેઓ બેભાન હાલતમા જણાતા તાત્કાલીક સગા-સંબંધીઓ દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં તાત્કાલિક જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબો એ તેઓને બચાવવા સતત બે કલાક સુધી ઘણી કોશિશ કરી પણ બચાવી શક્યા ન હતા.
1982માં જન્મેલા 41 વર્ષના ડો.ગૌરવ ગાંધીએ પોતાની તબીબી કારર્કીદી દરમિયાન 16 હજારથી વધુ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની હદયની સર્જરીઓ કરી હતી.
ડો.ગૌરવ પોતાના પાછળ પિતા દિનેશચંદ્ર ગાંધી, માતા કુસુમબેન ગાંધી, પત્ની ડો.દેવાંશી ગાંધી (ડેન્ટીસ્ટ) અને સંતાનો પુત્રી ધનવી તથા પુત્ર પ્રખરને વિલાપ કરતા છોડી ગયા છે.
કાર્ડીયાક એરેસ્ટના કારણે જ ડો.ગૌરવ ગાંધીનું નિધન થતા તેઓના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે આ ઘટનાને પગલે તબીબી આલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.