જામનગરના સપડા ગામ પાસે આવેલા સપડા ડેમમાં નહાવા પડેલા એક જ પરિવારના ત્રણ સહિત પાંચ લોકો ડૂબી જતા કરૂણ મોત થયા હોવાના અહેવાલ છે.
મૃતકોમાં બે મહિલા, બે પુરુષો અને એક યુવકનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ, 108 અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાંચેય મૃતદેહ બહાર કાઢયા હતા.
જામનગર શહેરમાં આવેલા દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવિઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ કારાભાઈ મંગે (કચ્છી, ભાનુશાળી) પોતાના પત્ની, પુત્ર અને બે પાડોશીઓ સાથે સપડા ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યારે આ પાંચેય લોકો ડેમમાં નહાવા પડ્યા હતા. જેમાં ડૂબી જતાં પાંચના મોત થયા છે.
મૃતકોમાં મહેશભાઈ કારાભાઈ મંગે (ઉવ. 44),લીનાબેન મહેશભાઈ મંગે (ઉવ .41),સિદ્ધ મહેશભાઈ મંગે (ઉવ. 20),અનિતાબેન વિનોદભાઈ દામા (ઉવ .40) અને રાહુલ વિનોદભાઈ દામા (ઉવ.17)નો સમાવેશ થાય છે.
ઘટનામાં ભોગ બનેલો સિદ્ધ મહેશ ભાઇ મંગે મહેસાણા ખાતે એન્જિનિયરનો અભ્યાસ કરતો હતો અને ગઇકાલે જ મહેસાણાથી જામનગર આવ્યો હતો. ત્યારે આજે પરિવાર સાથે ફરવા આવ્યો હતો જ્યાં ડૂબી જતાં મોતને ભેટ્યો હતો.
આ ઘટનાને પગલે શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.