જામનગરમાં રહેણાંક મકાન તૂટી પડવાની ઘટના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કરી તાત્કાલિક સહાયની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી એ ટ્વીટ કરી જણાવ્યુ હતું કે આ દુઃખદ ઘટનાથી અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50000 ની સહાય કરશે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના એપાર્ટમેન્ટના એક બ્લોક ધરાશાયી થતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા
આ મૃતકોના મિત્તલબેન જયપાલ સાદિયા (35 વર્ષ),જયપાલ રાજુભાઈ સાદિયા (35 વર્ષ),શિવમ જયપાલ સાદિયા (4 વર્ષ)નો સમાવેશ થાય છે.
જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે જેમાં કંચનબેન મનસુખભાઈ જોઈશર,પારુલબેન અમિતભાઈ જોઈશર,હિતાંશી જયપાલ,દેવીબેન અને રાજુભાઈ ઘેલાભાઈ નામની વ્યક્તિઓ નો સમાવેશ થાય છે.
વિગતો મુજબ કાટમાળ નીચે દટાયેલા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે.
ત્રણ માળના બ્લોકમાં કુલ છ ફ્લેટ આવેલા છે. જેમાં ચાર ફ્લેટમાં કોઈ લોકો હતા નહીં, બે ફ્લેટમાં જ લોકો હતા. કેટલાક લોકો બહાર હતા. બે ફ્લેટમાં જે લોકો હતા તેમાંના ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે પાંચ લોકો ઘાયલ છે. આ જર્જરિત મકાનોને હાઉસિંગ બોર્ડ અને મનપા દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી.
ઈમારત ધરાશાયી થવાની જાણ થતા જામનગરના સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, એસપી, કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે.ત્યારબાદ રાજકીય આગેવાનો હોસ્પિટલ પણ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.