રાજ્યના સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગિરનારના
વિકાસ માટે રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ગિરનારના ભવનાથ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેય સુધી યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ વિકાસના કામો થશે.
બંને તરફ પાથ-વે 3 મીટર પહોળો કરીને નવા જ પગથિયાનું નિર્માણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગિરનાર પર્વત પર તળેટીથી દત્તાત્રેય ટૂંક સુધી સમગ્ર પાયાની સુવિધાઓ ઉભી કરવા તેમજ ગિરનાર પર પાણી, વીજળીની વ્યવસ્થા હાથ ધરવા પણ આ વિકાસ યોજના અન્વયે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના નાના-મોટા કુલ 22 જેટલા તીર્થધામોમાં કુલ 48 કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્વાર, મરામત અને પાયાની સુવિધાના વિકાસ કામો હાથ ધરવામાં આવે. મુખ્યમંત્રી સમક્ષ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બેઠકમાં રજુ કરવામાં આવેલી બધી જ દરખાસ્તોને તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંબાજી, પાવાગઢ અને દ્વારિકા યાત્રાધામોના વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરીને કેટલાક અગત્યના સૂચનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા હતા.