ગાંધીનગર — ગુજરાતમાં લોકડાઉનનો ભંગ કરનારા વાહનચાલકોના વાહનો કબજે કરવામાં આવે છે પરંતુ પોલીસ સ્ટેશન પાસે એટલી મોટી જગ્યા હોતી નથી કે બઘાં વાહનોને સાચવીને રાખે, તેથી પોલીસ હવે વાહનચાલકોને કહે છે કે દંડ ભરીને તેમના વાહનો લઇ જઇ શકે છે. પોલીસે લોકડાઉનના સમયગાળામાં અત્યાર સુધીમાં 1.72 લાખ વાહનો મુક્ત કર્યા છે.
રાજ્યના પોલીસ વડાએ પહેલાં આદેશ કર્યો કે લોકડાઉનનો ભંગ કરનારા લોકોના વાહનો જપ્ત કરી લેવાશે એટલે પોલીસ કર્મચારીઓએ વાહનો જપ્ત કરવાનું શરૂ કર્યું પરંતુ આ વાહનોને રાખવા ક્યાં તેવો પ્રશ્ન ઉભો થતાં ધીમે ધીમે વાહનો લઇ જવાનું લોકોને કહેવામાં આવ્યું છે. એવી જ રીતે ભંગ બદલ ધરપકડ કરાયેલા વ્યક્તિઓને પણ છોડવાની ફોર્મ્યુલા ચાલી રહી છે, કારણ કે તેમને પણ પોલીસ સ્ટેશનમાં રાખવાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.
ગુજરાતના પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં 12000 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે જેમાં 22000ની ધરપકડ કરવામાં આવી છે. આટલી મોટી સંખ્યામાં આરોપીઓને રાખવા ક્યાં તે પોલીસ માટે મોટો પ્રશ્ન છે. બીજી તરફ જાહેરનામા ભંગના 3800 ગુનાઓમાં 4800 આરોપી સહિત કુલ 1.28 લાખ લોકોની અટકાયત કરવામાં આવી છે. રોજના 6000થી વધુ વાહનો જપ્ત કરી પોલીસ સ્ટેશનોમાં મૂકી રાખવામાં આવે છે. પોલીસ વડાના આદેશ પછી વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી કુલ 172000 જેટલા વાહનો મુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાતના અમદાવાદ સહિતના વિવિધ શહેરોમાં પોલીસે વાહનો જપ્ત કર્યા છે. આ જમા વાહનોની રસીદ લઇને વાહનચાલકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે. પોલીસના આદેશ પછી જે લોકો વાહનો લેવા આવે છે તેઓ લાઇન લગાવીને ઉભા રહે છે. પોલીસ દંડ વસૂલ કરીને વાહનો પાછા આપે છે.
શહેરોના પોલીસ સ્ટેશનોમાં મોટી સંખ્યામાં દ્વીચક્રી વાહનો, રિક્ષાઓ, કાર તેમજ પેડલ રિક્ષાઓ પડી છે. ખોટા લોકોની સાથે સાચા લોકો પણ ભોગ બન્યાં છે. દવા કે શાકભાજી લેવા નિકળેલા વ્યક્તિનું વાહન પણ જપ્ત થઇ ગયું છે. અત્યારે તેઓ વાહનો છોડાવવાની મથામણ કરી રહ્યાં છે.


Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.