રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે નર્મદા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તાર સાગબારા અને દેડીયાપાડા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદના અહેવાલ છે.
આજે કરજણ જળાશયની સપાટી 105.60 મીટરે પહોંચતા કરજણ જળાશયમાંથી અંદાજે 47,750 ક્યુસેક પાણીના ઇન્ફલો સામે 4 ગેટ ખોલવામાં આવ્યા છે અને તબક્કાવાર 20,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામા આવતા રાજપીપળા શહેર સહિત કાંઠાના 5 ગામોને એલર્ટ કરી દેવાયા છે.
ડેમમાંથી પાણી છોડવાને કારણે નદી કાંઠાના વિસ્તારોના રાજપીપલા શહેર, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછા ગમોના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાથે સાવચેત રહેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચેતવણી અપાઈ છે.
નર્મદા જિલ્લામાં SDRF ની ટીમ ખડકી દેવામાં આવી છે.