પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ અને ક્રિકેટરથી રાજકારણમાં બનેલા નવજોત સિંહ સિદ્ધુ ફરી એકવાર સામસામે આવી ગયા છે. સીએમ કેપ્ટન અમરિંદરસિંહે નવજોતસિંહ સિદ્ધુ પર મોટો હુમલો કર્યો છે. કેપ્ટને સિદ્ધુને તેની સામે લડવાનો પડકાર આપ્યો છે. તે સાથે જ અમરિંદરસિંહે કહ્યું કે જો સિદ્ધુ તેમની સામે ચૂંટણી લડશે, તો તેમની પણ જનરલ જે.જે.સિંહની જેમ તેમની ડિપોઝીટ પણ જપ્ત થશે. આ સાથે કેપ્ટને આજે નવજોત સિંહ સિદ્ધુ પર તંજ કસતા કહ્યું હતું કે હવે તેઓ કઇ પાર્ટીમાં જઇ રહ્યા છે. મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, હાલ પંજાબ કોંગ્રેસમાં બધુ ઉકળતો ચરુ છે.
જો કે, અગાઉ પણ પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ ઘણીવાર મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ પર હુમલો કરી ચુક્યા છે. આ પહેલીવાર છે જ્યારે કેપ્ટને નવજોત સિંહ સિદ્ધુને ખુલ્લેઆમ પડકાર્યા હોય. આ સિવાય તેઓ કઇ પાર્ટીમાં જવાના છે તે અંગે કેપ્ટનના નિવેદન પરથી સ્પષ્ટ છે કે પંજાબ કોંગ્રેસમાં ફરી એકવાર ખળભળાટ મચશે.
આ અગાઉ, મે 2019 માં પણ કેપ્ટન અમરિન્દર સિંહ અને સિદ્ધુ વચ્ચે વાકયુદ્ધ ફાટી નીકળ્યું હતું, જ્યારે મુખ્ય પ્રધાને તેમને સ્થાનિક શાસન વિભાગની અયોગ્ય કામગીરી માટે જવાબદાર ઠેરવ્યા હતા અને દાવો કર્યો હતો કે આ જ કારણે લોકસભાની ચૂંટણીમાં પંજાબના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું હતું.