ગુજરાત માં રાજ્યસભાની ચૂંટણી પુરી થયા બાદ હવે સત્તાધારી પક્ષ ભાજપ સંગઠન માં ફેરફાર સાથે સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓમાં બદલીઓ થશે આ માટે ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે,ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ વાઘાણીની મુદત પૂરી થવા આવી હોવાથી નવા પ્રમુખથી માંડીને આખા સંગઠન સહિત રાજ્યના મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવનાર છે. અને રાજ્યના IAS અને IPS અધિકારીઓની બદલીઓ માટે પણ વિચારણા ચાલી રહી છે.
આમતો છેલ્લા કેટલાક સમય થી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખામાં ફેરફારો સાથે સંગઠનની નવી રચના માટે ની વાતો થાય છે પરંતુ હવે આવી રહેલી નગરપાલિકા અને પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પહેલા એટલે કે આગામી 10 દિવસમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવી પડે તેવી સ્થિતિ છે. આ સિવાય મહાનગરોના નવા પક્ષ પ્રમુખ સહિત ભાજપ પ્રદેશ સંગઠનની નવી રચના અંગેની પણ જાહેરાત થશે.
સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની પેટાચૂંટણી એક સાથે થઈ શકે
રાજ્યમાં કેટલીક નગરપાલિકા અને તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓ પણ યોજવાની થાય છે તો બીજી તરફ 8 ધારાસભ્યએ રાજીનામા ધરી દેતા તેની પણ પેટાચૂંટણી યોજાશે. આમ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સાથે સાથે જ યોજાશે. જેને ધ્યાને લઇને ભાજપ હાઈકમાન્ડ દ્વારા હવે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન અને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર કરવા માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે.
બીજી તરફ રાજ્યના IAS અને IPS અધિકારીઓની બદલીઓ માટેનું કાઉન્ટડાઉન શરૂ થયું છે અને કોરોનાના કારણે અનેક અધિકારીઓ નિવૃત્ત થયા બાદ પણ ફરજ બજાવી રહ્યાં છે જયારે કેટલાક ની બદલી અટકી પડી હતી ત્યારે હવે ભાજપના હાઈ કમાન્ડે ગુજરાતના IAS અને IPSની બદલી માટે ગુજરાત સરકાર પાસે માગેલી યાદીમાં થોડા ફેરફાર સાથે તેને મંજૂરીની મહોર મારી દીધી હોવાના અહેવાલ જાણવા મળી રહ્યા છે આમ હવે સરકાર ના સંગઠન અને અધિકારીઓ ની બદલીઓ ના દૌર વચ્ચે કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ સર્જાશે.
