સૌરાષ્ટ્રમાં રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે ગીર સોમનાથમાં થયેલા વ્યાપક વરસાદને લઈ સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે પરિણામે નેશનલ હાઈવે પર પાણી ફરી વળતાં સુત્રાપાડા ફાટક અને વેરાવળ વચ્ચે સોનારિયા ગામ નજીક હાઇવે તૂટી જતા અને પાણી ભરાઈ જતા અકસ્માત થવાની શક્યતાઓ જોતા સલામતી ખાતર નેશનલ હાઇવે બંધ કરાયો છે.
સુત્રાપાડા અને વેરાવળમાં સતત બીજા દિવસે અનરાધાર વરસાદ પડી રહ્યો છે.
રાજ્યમાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથના વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 20 ઇંચ જેટલો વરસાદ
જ્યારે 22 ઈંચ વરસાદથી સૂત્રાપાડામાં જળબંબાકાર બન્યું છે ત્યારે ગીર સોમનાથના તાલાલા તાલુકામાં હીરણ ડેમ-2ના એકસાથે મધ્યરાત્રિએ તમામ દરવાજા સંપૂર્ણ ખોલવામાં આવતા હીરણ નદીના પૂરના પાણી શહેરમાં ઘૂસતા રહેણાંક વિસ્તારમા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા અને રસ્તાઓ પર પાર્ક કરેલા અનેક વાહનો તણાયા હતા. મોડી રાત્રિએ પાણી આવતા લોકો ફફડી ઉઠ્યા હતા.
તાલાળાના નરસિંહ ટેકરી, આંબેડકર નગર ગુંદરણ ચોકડી, સોમનાથ સોસાયટી સહિતના અનેક વિસ્તારમાં પાણી ફરી વળતા ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું પોલીસ, વહીવટી તંત્ર સહીત સેવાભાવી લોકોએ જ્યાં જ્યાં વધુ પાણી ઘરોમાં ઘૂસ્યા હતા ત્યાં જઈ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત્રિના શરૂ કરી હતી.