ભાવનગર-સોમનાથ હાઇવે ઉપર તૈયાર થઈ રહેલા બ્રિજનો સ્લેબ તૂટી પડતા ચકચાર મચી ગઇ છે અને લોકોમાં બ્રિજના કામમાં ગેરરીતિની ફરિયાદ ઉઠવા પામી છે
અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ હાઈવે ઉપર રાજુલાના દાતરડી ગામ પાસે હાલમાં ચાલી રહેલા બ્રિજનું કામ દરમિયાન જ છે. ત્યારે બ્રિજનો સ્લેબ તૂટી પડતા બ્રિજના કામમાં ભ્રષ્ટાચારની બૂ ઉઠવા પામી છે. ગુણવત્તાને લઈ સવાલ ઊઠ્યા છે. બ્રિજ ધરાશાયી થવાની ઘટના મીડિયામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને તંત્રએ મૌન ધારણ કરી લેતા મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે એટલુંજ નહિ પણ ઘટનાસ્થળ પરથી તૂટેલા બ્રિજના સ્લેબનો કાટમાળ પણ દૂર કરવાની કામગીરી હાથ ધરી મામલો દબાવી દેવાનો પ્રયાસ થતા લોકોમાં આ મામલે ભારે ચર્ચા ઉઠી છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર દાતરડી ગામ પાસે નિર્માણાધીન બ્રિજ બનીને તૈયાર થાય તે પહેલાં જ તેનો એક ભાગ ધરાશાયી થયો હોવાની વાત સામે આવતા બ્રિજના કામમાં ગેરરીતિ થઈ હોવાની બૂમ ઉઠવા પામી છે.