મહારાષ્ટ્રમાં સાધુઓ ઉપર થયેલા હુમલાને ગુજરાતના જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ વખોડી કાઢી હુમલાખોરો સામે સખ્ત કાર્યવાહી કરવા માંગ કરી છે.
મહારાષ્ટ્રના લંબાગઢ ગામે અખાડાના સાધુ ઉપર સ્થાનિક લોકોએ હુમલો કરતા સંતો-મહંતોમાં રોષ ફેલાઇ ગયો છે ત્યારે મહારાષ્ટ્રમાં જૂના અખાડાના ચાર સંન્યાસી ઉપર થયેલા હુમલાને જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ અને પંચદશનામ જૂના અખાડાના ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કડક શબ્દોમાં નિંદા કરી હતી અને દોષીઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
તેઓએ જણાવ્યું કે હાલ મહારાષ્ટ્રમાં હિંદુઓની સરકાર હોવાછતાં મહારાષ્ટ્રમાં અગાઉ પણ સંતો ઉપર હુમલા થયા છે અને આ બીજી ઘટના છે. ત્યારે સરકાર આ બાબતને ગંભીરતાથી લે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરે,નહીં તો ગિરનાર મંડળના સંતો રસ્તા ઉપર ઉતરશે.
જૂના અખાડાના સંત અને ભવનાથના મહંત હરિગીરીજી મહારાજે પણ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી છે.
જૂના અખાડામાં સંતોની બેઠકને સંબોધિત કરતા અખિલ અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્રપુરી મહારાજે કહ્યું કે, મહારાષ્ટ્રના સાંગલી જનપદના લંબાગઢ ગામના જૂના અખાડાના ચાર નાગા સંન્યાસી ઉપર સ્થાનિક લોકોએ હુમલો કરીને ખૂબ ખરાબ કૃત્ય કર્યું છે. આવી ઘટનાઓ બિલકુલ સાંખી લેવાશે નહીં. નાગા સંન્યાસીઓએ ભારતની સાથે સાથે સનાતન ધર્મની રક્ષા કાજે પોતાના પ્રાણની પણ પરવા કરી ન હતી. આવી રીતે લોકોનો સાધુ ઉપર હુમલો કરવો ખૂબ જ નિંદનીય છે. અગાઉથી નક્કી કરેલા ષડ્યંત્ર સાથે ચોર કહીને સાધુઓ ઉપર લાકડીઓ અને ડંડા વડે હુમલો કરવામાં આવ્યો હતો.
આ હુમલાને લઈને સંત સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. રવિન્દ્રપુરી બાપુએ પણ કહ્યું હતું કે, આ મામલે રાષ્ટ્રીય સ્તર પર રણનીતિ તૈયાર કરાઇ રહી છે. આ સમગ્ર મામલે દોષીઓને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં આવશે નહીં અને કડક સજા થવી જોઈએ.