રાજ્યમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરુ થતા ઢોર પકડવાની આ કામગીરીને લઈ માલધારી સમાજ નારાજ થઈ ગયો છે અને આ કાયદો રદ કરવા સાથે માલધારી સમાજના પાંચ નેતાઓને ટીકીટ આપવા માંગ થઈ છે.
રખડતા ઢોર પકડવાની કામગીરી સામે હવે માલધારી સમાજ આંદોલન કરવા જઈ રહયા છે અને રખડતા ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા સહિત ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા મુદ્દે આંદોલન કરશે.
રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદો જે લાવવામાં આવ્યો છે તેને રદ કરાવવા માટે માલધારી સમાજના આગેવાનો દ્વારા મિટિંગ મળી હતી.
કોઈપણ રાજકીય પક્ષ હોય ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી પણ જે માલધારી સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવા લેખિતમાં ખાત્રી આપશે તેની સાથે સમાજ ઊભો રહેશે.
કોઈપણ પાર્ટી હોય તેની પાસેથી લેખિતમાં વચન લેવામાં આવે કે તે માલધારી સમાજના પાંચ વ્યક્તિઓને ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવે.
અમદાવાદની બેઠકમાં માલધારી સમાજના સાધુ સંતો અને આગેવાનોની જે બેઠક મળી હતી
તેમાં સુરેન્દ્રનગર દુધરેજના વડવાળા મંદિરના મહંત પ.પૂ 1008 મહામંડલેશ્વર કનીરામ બાપુ, ભરવાડ સમાજના મહંત ઘનશ્યામપુરી બાપુ, વાળીનાથ મંદિરના જયરામગીરી બાપુ, દેવુભગત તેમજ માલધારી આગેવાનો નાગજીભાઈ દેસાઈ, લાલજીભાઈ દેસાઈ, લાંભા વોર્ડના અપક્ષ કોર્પોરેટર કાળુભાઈ ભરવાડ, વિક્રમભાઈ ભુવાજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રણનીતિ નક્કી કરી હતી.
દરમિયાન આગામી તા. 22 અને 23 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું સત્ર મળી શકે છે. આ વિધાનસભા સત્ર દરમિયાન અથવા એક દિવસ પહેલાં સમગ્ર ગુજરાતમાંથી એક લાખ જેટલા માલધારીઓ ગાંધીનગરમાં ઉમટી પડશે.
માલધારીઓ દ્વારા વિધાનસભા તરફ કૂચ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ અંગે ગાંધીનગર નજીક આવેલા ટીંટોળા વડવાળા મંદિરમાં ગુરુવારે માલધારી સમાજના સંતો અને આગેવાનોની એક બેઠક યોજાશે જેમાં આગામી રણનીતિ ઘડી કાઢવામાં આવશે.