સત્ય ડે ન્યુઝ, ગાંધીનગર
ગુજરાત કોંગ્રેસ નવસર્જનના માર્ગે ચાલી નીકળી છે. જેમાં યુવા અને અનુભવી આગેવાનો, કાર્યકરોનું યોગ્ય મિશ્રણ કરીને 2022ની વિધાનસભાની ચૂંટણી જીતવાની કવાયત હાથ ધરવામાં આવશે એમ પાર્ટીના સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માએ તાજેતરમાંજ ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને સ્પષ્ટ સૂચના આપી છે કે જૂથબંધી ભૂલીને 25 વર્ષથી વેઠાતા સત્તાના દુકાળને 2022ની સાલમાં ખતમ કરો. આ તબક્કે એ જાણવું રસપ્રદ રહેશે કે ગુજરાતના પૂર્વ પ્રભારી અને કોરોનનો ભોગ બની જનારા રાજીવ સાતવની આ ફાની દુનિયામાંથી વિદાય થયા પછી અને રઘુ શર્માની નિયુક્તિ થઇ એ વચ્ચેના સમયગાળા દરમિયાન કોંગ્રેસ હાઈ કમાન્ડ અને ગુજરાત કોંગ્રેસની નેતાગીરી એટલે કે નેતા વિપક્ષ તેમજ પ્રદેશ પ્રમુખ વચ્ચે સંવાદના સંબંધો કેવા હતા?
કોંગ્રેસને અત્યંત આધારભૂત સૂત્રોનું માનીયે તો આ સમય દરમિયાન કોમ્યુનિકેશન ચેનલ સાવ ઠપ્પ થઇ ચુકી હતી. મતલબ કે પરેશ ધાનાણી કે પછી અમિત ચાવડા અને રાહુલ ગાંધી તેમજ રાહુલની કોર ટિમ વચ્ચે કોઈ સંવાદ થવો અશક્ય હતો. આ સમય ઓછામાં ઓછો 3 મહિનાનો હતો જેમાં ગુજરાતની નેતાગીરીને એ ખબર જ નહોતી પડતી કે દિલ્હી હાઈ કમાન્ડ ગુજરાતના લશ્કરને ક્યાં, કેમ અને કોની આગેવાની હેઠળ લડાઈના મેદાનમાં ઉતારવા માંગે છે.
જયારે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ હાઈ કમાન્ડ વચ્ચે વાત ચાલી રહી હતી અને મેવાણીનું કોંગ્રેસમાં જોડાવાનું ટાઈમ અને તારીખ સાથે નક્કી થઇ ચૂક્યું હતું ત્યારે પણ કોંગ્રેસના પ્રદેશ આગેવાનો આ અંગેની માહિતી રાજ્યના વરિષ્ઠ પત્રકારો પાસે થી મેળવી રહ્યા હતા. અમે જયારે એક સિનિયર નેતાને પૂછ્યું કે મેવાણી આ તારીખે કોંગ્રેસમાં રાહુલ ગાંધીના હાથે ખેસ પહેરીને જોડાઈ રહ્યા છે એ વાત સાચી? તો આગેવાને જવાબ આપ્યો કે આ તમે કહો છો ત્યારે ખબર પડે છે. દિલ્હી સાથે અમારે છેલ્લા 3 મહિનાથી કોઈ સીધી વાત ચિતનો સંબંધ નથી.
આ ઘટના દેખાડે રાહુલ ગાંધીને 2017થી ગુજરાતની કમાન સાંભળી રહેલા હોદ્દેદારો ઉપર ભરોસો રહ્યો નહોતો અને એટલેજ જે ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખ, નેતા વિપક્ષ સહિતના પ્રદેશ માળખામાં જે સંપૂર્ણ ફેરફારો સાથે નવસર્જન થવાનું છે, એમાં ધરખમ ફેરફારો જોવા મળશે.