રાજ્યમાં ઇકો કારના સાયલેન્સરની મોટાપાયે ચોરી થવાના બનાવો વધી ગયા છે અને પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાઈ રહયા છે ત્યારે માત્ર ઇકો કારના સાયલેન્સરની જ કેમ ચોરટાઓ ચોરી કરી રહયા છે તે વાત ખુબજ ચર્ચાસ્પદ બની છે અને જાણકારોના મતે આ સાયલેન્સરની ખૂબજ માંગ હોય ચોરટાઓ ઇકો કારના સાયલેન્સરની ચોરી કરી રહ્યા હોવાની સંભાવના છે.
વડોદરા અને અંકલેશ્વરમાં મોટા પાયે ઇકો કારના સાયલેન્સર ચોરી થતા હોવાના બનાવો નોંધાયા બાદ આ વાત બહાર આવી છે.
છેલ્લા દોઢ વર્ષ દરમિયાન વડોદરાના અલગ અલગ પોલીસ મથકના ચોપડે 70 થી વધુ સાયલેન્સર ચોરીના ગુના નોંધાય ચૂક્યા છે.
જ્યારે અંકલેશ્વરમાં ઇકો કારમાંથી સાયલન્સરની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે અને હમણાંજ પાંચેક દિવસમાં જ ઇકો કારમાંથી સાયલન્સર ચોરીના આઠ જેટલા બનાવો સામે આવ્યા છે
એક મીડિયા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મારુતિ ઈકો કારના સાયલન્સર જેને સરળતાથી દૂર કરી શકાય છે તેની કિંમત હજારો રૂપિયા હોય છે.સાયલન્સરમાં મળતી ધાતુની ધૂળ ખુલ્લા બજારમાં ઊંચા ભાવે વેચી શકાય છે.
સાયલેન્સરમાં ઉત્પ્રેરક કન્વર્ટર પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ સહિતની ધાતુઓથી બનેલું છે,ધાતુની ધૂળની કિંમત 2000થી 4000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે,જ્યારે સાઇલેન્સરમાં લાગેલા સેન્સરને પણ 20,000 રૂપિયાથી વધુમાં વેચી શકાય છે.
મારુતિ સુઝુકી ઇકો ના સાઇલેન્સરની કિંમત પ્રતિ યુનિટ હજારો રૂપિયા હોય છે.
ઇકો કારમાં સેફ્ટીનો અભાવ હોવાથી તસ્કરો સહેલાઈથી ચોરી કરી રહયા છે,ખાસ કરીને, સાઇલેન્સર ખોલવાની બનાવટ ઇઝી હોવાથી તસ્કરો ઇકો કારના સાઇલેન્સર ચોરીની ઘટનાને વધુ અંજામ આપી રહ્યા છે. કહેવાય છે કે ,વર્ષ 2020 બાદના ઇકો કારના મોડલમાં જે સાઇલેન્સર આવે છે તેનાથી એવરેજ અને પીકઅપમાં ફાયદો થાય તેવી ટેકનોલોજી છે.
ઉપરાંત નવું સાઇલેન્સર તેમજ જૂના સાઇલેન્સરની ખૂબ માંગ હોય ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરવાના બનાવો વધ્યા છે.
જોકે,આ ચોરીને અંજામ આપતી ગેંગ પકડાય તોજ તેઓ આ સાયલેન્સર ક્યાં વેચે છે અને કેટલા વેચ્યા વગરે લિંક ખુલે તેવી શક્યતા છે.