સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના સમઢીયાળા ગામે જમીનના ડખ્ખામાં ખેલાયેલા લોહિયાળ ધીંગાણામાં બે દલિત સગા ભાઈઓની હત્યા બાદ આ મામલે 60 વર્ષીય પારૂલબેન ખોડાભાઇ પરમારે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પારુલબેને સમઢીયાળા ગામના અમરાભાઇ હરસુભાઇ ખાચર, નાગભાઇ હરસુભાઇ ખાચર, જીલુભાઇ ઉર્ફે ઘુઘાભાઇ અમરાભાઇ ખાચર, મગળુભાઇ અમરાભાઇ ખાચર, ભીખુભાઇ ભોજભાઇ ખાચર ( આ તમામ પાંચેય આરોપીઓ રહે- સુદામડા, તા- સાયલા, જિલ્લો- સુરેન્દ્રનગર ) અને ભાણભાઇ ( રહે- સમઢીયાળા, તા-ચૂડા, જિલ્લો- સુરેન્દ્રનગર ) અને અન્ય 12થી 15 અજાણ્યા ઇસમો વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે સમઢીયાળા ગામે પોતાની વાડીએ આવેલા દલિત પરિવારની ગાડી પર આરોપીઓ લાકડી અને ધારીયાઓ સાથે તૂટી પડ્યાં હતા અને લાકડીઓ અને ધારીયા વડે જીવલેણ હુમલો કરી મહિલાઓ સહિતના પરિવારજનોને નાની મોટી ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. તેમજ નંદીનીબેન ઉપર મરચાની ભૂકી ઉડાડી હતી અને 60 વર્ષના આલજીભાઇ પ્રેમજીભાઇ પરમાર અને એમના સગા નાના ભાઇ 54 વર્ષના મનોજભાઇ પ્રેમજીભાઇ પરમાર ઉપર લાકડીઓ અને ધારીયા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
દરમિયાન 108ની 3 એમ્બ્યુલન્સ વાનમાં તમામ ઇજાગ્રસ્તોને તાકીદે સારવાર અર્થે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં દલિત પરિવારની મહિલાઓ નંદીનીબેન અને શાંતાબેનની હાથની આંગળીઓ કપાઇ જતા હાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
20થી વધુ લોકોના ટોળાએ લાકડીઓ અને ધારીયા વડે ઘાતક હુમલો કરી વાડીના સીસીટીવી તોડી નાંખીને મૃતક બંને ભાઇઓ પાસે વાડીમાં તાર ફેન્સિંગ માટે રાખેલા રૂ. એક-એક લાખ મળી કુલ રૂ. બે લાખ પણ લઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયુ છે.