સુરેન્દ્રનગર જિલ્લા ના હળવદ નજીક આજે ત્રણ વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના સુંદરગઢ ગામ નજીક ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયેલા અકસ્માત માં મોરબી થી અમદાવાદ કોરોનાની સારવાર માટે એમ્બ્યુલન્સમાં જઇ રહેલા પિતા-પુત્ર અને એમ્બ્યુલન્સ ચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે જ કરૂણ મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
વિગતો મુજબ મોરબી ખાતે રહેતા અલીમોહમ્મદ ભાઈ રહેમતુલ્લાભાઈ અબ્બાસી ઉંમર 78 જેઓ કોરોના પોઝીટિવ આવતા તેઓ મોરબીથી એમ્બ્યુલન્સમાં પોતાના પુત્ર અને પુત્રવધુ અને એમ્બ્યુલન્સ ચાલક સહિત ચાર લોકો અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ હળવદ-મોરબી રોડ પર આવેલા સુંદરગઢ ગામ નજીક હળવદ તરફથી આવતા ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ઘટનાસ્થળે જ અલીમોહમ્મદભાઈ રહેમતુલ્લાભાઈ અબ્બાશી ઉંમર વર્ષ 78 અને તેમનો દીકરો યાસીનભાઈ મોહમ્મદભાઈ અબ્બાસી ઉમર 44 રહે- બંને વીસીપરા (મોરબી) તેમજ એમ્બુલન્સ ચાલક જીતુભાઈ મુન્નાભાઈ ઝાલા રહે વાલ્મિકી વાસ મોરબી ઉંમર વર્ષ 25 સહિત ત્રણના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
એમ્બ્યુલન્સમાં સવાર રેહાના બેન યાસીનભાઈ ઉંમર 42ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ પોલીસને થતા પી.આઈ પી.એ દેકાવાડીયા,પીએસઆઇ પી.જી પનારા, રાધિકા રામાનુજ, ચરાડવામાં જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ડમ્પર અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત એટલો ભયાનક હતો કે એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી ગયો હતો.