સરકાર હવે 80% અખબારી જાહેરખબરો ભારતીય ભાષાઓના અખબારોને અને બાકીની 20% અંગ્રેજી સમાચારપત્રોને આપશે. સરકારની પ્રિન્ટ મીડિયા જાહેરખબર નીતિમાં આ પ્રસ્તાવ રજૂ કરાયો છે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે, હવે મંત્રાલય/વિભાગોએ નવી નીતિ હેઠળ 15% જાહેરખબર નાના અખબારો, 35% મધ્યમ કક્ષાના અખબારો અને 50% જાહેરખબરો મોટા અખબારો ને અપાશે. 25 હજાર સુધીનો ફેલાવો ધરાવતા અખબારો નાના, 25,001થી હજારથી 75 હજાર સુધીનો ફેલાવો ધરાવતા અખબારો મધ્યમ તેમજ 75 હજારથી વધુ ફેલાવો ધરાવતા અખબારો મોટા ગણવામાં આવશે.
સરકારનું માનવું છે કે, આ નવા નિયમથી બોડો, ડોગરી, ગઢવાલી જેવી ભારતીય ભાષાઓને પણ સમાન તક મળશે. નવા નિયમોનો લાભ એ જ અખબારોને મળશે, જે ઓછામાં ઓછા 36 મહિનાથી કોઈ અવરોધ વિના પ્રકાશિત થઈ રહ્યા છે. બોડો, ડોગરી, ગઢવાલી, કાશ્મીરી, ખાસી કોંકણી અને મૈથિલી સહિત કેટલીક ભાષાના અખબારોને છ મહિનાની છૂટ આપવા વિચારણા ચાલી રહી છે.સાથે સાથે જમ્મુ-કાશ્મીર અને લદાખ જેવા સરહદી વિસ્તારોના અખબારોને પણ છૂટ મળશે. વિશેષ સંજોગોમાં આ નિયમમાં છૂટની પણ જોગવાઈ છે, પરંતુ એ માટે જાહેરખબર આપનારા મંત્રાલયે વિસ્તૃત કારણ જણાવવું પડશે. કયા અખબારોને જાહેરખબર અપાશે, તેનો નિર્ણય બ્યુરો ઓફ આઉટરિચ એન્ડ કોમ્યુનિકેશન (બીઓસી)એ કરવાનો છે.
અત્યાર સુધી દેશની તમામ રાજ્ય સરકારોની ગાઈડલાઈનની રીતે જ રાજ્યોની જાહેરખબર નીતિ બનતી હતી પરંતુ હવે કેન્દ્રની પ્રસ્તાવિત ગાઈડલાઈન પછી દેશનાં તમામ રાજ્યો પોતાની જાહેરખબર નીતિ નક્કી કરી શકશે. હાલ રાજ્ય સરકારોના જાહેરખબર બજેટનો મોટો હિસ્સો અંગ્રેજી અખબારો અને ન્યૂઝ ચેનલોને જતો રહે છે. રાજ્ય સરકારો એ મુદ્દો પણ તાપસ કરશે કે, જે જાહેરખબરોના પૈસા પ્રદેશ બહારના અખબારો-ટીવી ચેનલોને અપાય છે, તેની ઉપયોગિતા શું છે અને તેની મર્યાદા કેવી રીતે નક્કી થાય. સંભવત: કેન્દ્રની નીતિ જાહેર થતાં જ તમામ રાજ્ય સરકારો એક સમિતિની રચના કરીને નીતિ બનાવશે, જેથી રાજ્યમાં પ્રચાર-પ્રસાર કરવા જાહેરખબરના બજેટનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે વાત કેન્દ્રસ્થાને રહેશે તેમ સબંધિત વિભાગ ના સૂત્રો એ જણાવ્યુ હતુ.
