રાજ્યમાં કોરોનાનો કહેર જેવી રીતે વધી રહ્યો છે તેને જોતા ચિંતા વધી રહી છે પણ થોડાક દિવસોમાં રાજ્યોમાં વધુ દર્દીઓ રિકવર થઈ રહ્યાનાં સારા સમાચાર છે. રાજ્યમાં અત્યાર સુધી રિકવર થયેલા દર્દીઓ સાથે કુલ 1 લાખ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. 16 સપ્ટેમ્બરનાં આંકડા મુજબ રાજ્યમાં સર્વાધિક રેકોર્ડ બ્રેક 1652 દર્દીઓ રિકવર થયા હતાં તે સિવાય 1447 અને 1444 જેટલા દર્દીઓ એક દિવસમાં રિકવર થઈ ચૂક્યા છે જ્યારે આજનાં આંકડા મુજબ રાજ્યમાં કુલ 1293 દર્દીઓ રિકવર થયા છે જેની સાથે કુલ 101201 દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે.
આ સાથે જ બનાસકાંઠાના પાલનપુરમાં કાણોદર ગામમાં (Kanoodar, Palnpur, Banaskantha) કોરોના જાણે મોઢુ ખોલીને બેઠો છે, અને દરેકને ચપેટમાં લઇ રહ્યો છે. કાણોદર ગામમાં હાલમાં કોરોના ટેસ્ટિંગ કરતા 300માંથી 50 લોકો પોઝિટિવ આવતા લોકોમાંં ગભરાટ ફેલાઇ ગયો હતો. એટલી હદે કે હવે લોકોએ આ ચેપને વધુ ફેલાતો અટકાવવા 10 દિવસ માટે આખા ગામમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરી દીધુ છે. મહિનાઓ સુધી લોકડાઉન લાદયા પછી હવે સરકાર ધીરે ધીરે કોરોના વચ્ચે પણ સાધારણ સ્થિતિ તરફ વળવા અનલૉકમાં ઘણી છૂટછાટ આપી રહી છે. એટલે હવે લોકોએ પોતાને કોરોના ન લાગે તેની જવાબગારી જાતે જ લેવી પડશે. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) તો તાજેતરમાં ‘જબ તક દવાઇ નહીં, તબ તક ઢીલાઇ નહીં’ (Jab Tak Dawai Nahi Tab Tak Dhilai Nahi) નું સૂત્ર આપી દીધુ છે. એટલે કાણોદર ગામમાં ગામલોકો દ્વારા લેવાયેલો સ્વૈછિક લોકડાઉનનો નિર્ણય એ જ ઉપાય છે.
આપણે જાણીએ છીએ તેમ મુંબઇમાં (Mumbai) થોડા દિવસો પહેલા 144ની કલમ (Section 144) ફરી લાગુ કરવામાં આવી હતી. કોરોનાવાયરસના વધતા જતા મામલાથી ચિંતિત રાજસ્થાન સરકારે (Rajasthan Government) શનિવારે મોડી રાત્રે રાજ્યના 11 જિલ્લાઓમાં CRPCની કલમ 144 લાદવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 33 જિલ્લાઓ છે અને જોગવાઈમાં એક જગ્યાએ પાંચથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. સરકારે 31 મી ઓક્ટોબર સુધી સામાજિક અથવા ધાર્મિક કાર્યો પર પ્રતિબંધ ચાલુ રાખવાનો નિર્ણય પણ કર્યો છે. જો કે, અંતિમવિધિમાં 20 અને લગ્ન પ્રસંગોમાં 50 લોકો માટે પરવાનગી ચાલુ રહેશે. કોરોનાવાયરસ અંગેની ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જયપુર, જોધપુર, કોટા, અજમેર, અલવર, ભિલવારા, બિકાનેર, ઉદયપુર, સીકર, પાલી અને નાગૌરમાં સીઆરપીસીની કલમ 144 લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.