પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરથી એક મહત્વનો નિર્ણય કરાયો છે . રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક વિભાગ દ્વારા ધોરણ 1થી ધોરણ 8ની મૂલ્યાંકન યોજના માં કેટલાક સુધારા કરવામાં આવી છે છે. નોટિફિકેશનમાં બાળકો માટેના મફત અને ફરજીયાત શિક્ષણ અધિકાર અધિનિયમ 2009ના વિનિયમો માં કલમ 24માં સુધારો કર્યો છે.
સુધારા અનુસાર ધો. 5 અને 8માં દરેક વિષયમાં A, B, C કે D ગ્રેડ મેળવનારને વિદ્યાર્થીઓ ને જ આગળના ધોરણમાં વર્ગ બઢતી આપવાની રહેશે. અન્ય ધોરણોમાં વિદ્યાર્થીઓ ને અટકાવી શકાશે નહીં. આમ ધો. 5 અને 8માં જે વિદ્યાર્થી ને 5 કે તેથી વધુ વિષયમાં E ગ્રેડ આવે એટલે કે 35 ટકાથી ઓછું પરિણામ હોય તો તેને જે તે ધોરણમાંથી વર્ગ બઢતી આપી શકાશે નહીં.
પરીક્ષાનું પરિણામ જાહેર થયા ના 2 માસ દરમિયાન ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કર્યા બાદ શાળા કક્ષાએ પુન: કસોટી યોજવાની રહેશે. જેમાં વિદ્યાર્થી પોતાના ગ્રેડમાં સુધારો કરી શકે તો વર્ગ બઢતી આપવાની રહેશે. ધો. 5 અને 8 સિવાયના અન્ય ધોરણોના વિદ્યાર્થીઓ ને રોકી શકાશે નહીં. આ નોટિફિકેશનનો અમલ તમામ જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળાઓ, જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ, નગરપાલિકા અને મહાનગરપાલિકા હસ્તકની પ્રાથમિક શાળાઓએ ફરજિયાત અમલ કરવા સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, વિદ્યાર્થીઓના શિક્ષણ માં સુધારો થાય અને વિદ્યાર્થીઓ લખતા અને વાંચતા સારી રીતે બોલી શકે તે હેતુથી અગાઉ શાળાઓને દર સપ્તાહ એ શનિવારના દિવસે મૂલ્યાંકન કસોટી લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આ નિયમનું પાલન પણ યોગ્ય રીતે થાય તે માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે.