AAP: 2015માં સમગ્ર ગુજરાતમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં થયેલા પાટીદાર અનામત આંદોલનના ચહેરા તરીકે ઉભરેલા સુરતના પાટીદાર યુવા નેતાઓ એક સાથે રાજીનામું ધરી દેતા હડકંપ મચી ગયો છે.
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપમાં જોડાઈને અલ્પેશ કથીરીયાએ વરાછા અને ઘાર્મિક માલવિયાએ ઓલપાડ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી હતી. બન્નેએ એક સાથે આપ જોઈન કરી હતી પણ હવે બન્નેએ એક સાથે આપને રામ-રામ કર્યા છે.
હાર્દિક પટેલ જેલમાં જતા પાટીદાર અનામત આંદોલનને અલ્પેશ કથીરીયાએ નેતૃત્વ પુરું પાડ્યું હતું.
અલ્પેશને પણ જેલમાં જવાનો વારો આવ્યો હતો. અલ્પેશ કથીરીયાએ ત્યાર બાદ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો અને આપ પાર્ટીમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.
અલ્પેશના પગલે ચાલીને ધાર્મિક માલવિયાએ પણ આપ જોઈન કરી હતી.
ધાર્મિક માલવિયાએ કહ્યું કે લાંબા સમયથી નિષ્ક્રિય હતા અને હવે સામાજિક ક્ષેત્રે સેવા કરવાનું મન બનાવ્યું છે. આપની પ્રદેશ નેતાગીરી સામે પણ કોઈ પ્રોબ્લેમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આપ પાર્ટીએ ગુજરાતમાં માત્ર બે લોકસભા સીટ પર ગઠબંધન કર્યું છે
અને બાકીની તમામ 24 સીટો કોંગ્રેસને આપી દીધી છે. સુરત લોકસભા સીટ પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર બનાવ્યા છે.
પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ કોંગ્રેસ જોડાયા હતા બાદમાં તેમણે કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. હવે અલ્પેશ કથીરીયા કે ધાર્મિક માલવિયા પણ હાર્દિકના રસ્તે ચાલી ભાજપમાં જોડાશે કે કેમ તેવી અટકળો ચાલી રહી છે. જોકે, ધાર્મિક માલવિયાએ હાલ કોઈ પણ પાર્ટીમાં જોડાવાની વાતનો ઈન્કાર કર્યો છે.