ગુજરાતમા મેટ્રોરેલનો ટ્રેક છેલ્લા એક વર્ષથી વધ્યો નથી તેમ છતાં જ્યાં પહેલાં ચાલતી હતી તે ટ્રેક પર મેટ્રોરેલ 7મી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. અનલોક-4ની ગાઇડલાઇન પ્રમાણે મેટ્રોરેલ દોડશે. એસટી નિગમની બસો પછી હવે મેટ્રોરેલ શરૂ થઇ રહી છે પરંતુ તેમાં આરોગ્યની સાવચેતીના પગલાં લેવામાં આવનાર છે
મેટ્રોરેલ કોર્પોરેશનને અમદાવાદના જે વિસ્તારમાં મેટ્રોરેલ શરૂ કરી તે વિસ્તારમાં પાંચ મહિના પછી ફરીથી મેટ્રોરેલ શરૂ કરાશે. 7 અને 8 સપ્ટેમ્બરે સવારે 11 થી 12:10 કલાક સુધી અને સાંજે 4:25 થી 5:10 કલાક સુધી ટ્રેન સેવા ચાલશે. મુસાફરો માટે કોવિડ નિયમો, માસ્ક અને સામાજિક અંતરના ધોરણોનું પાલન કરે છે કે કેમ તેની તપાસ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.
બીજા તબક્કામાં 9 થી 12 સપ્ટેમ્બરે સવારે 11 થી સાંજે 5 કલાક સુધી ટ્રેન સેવા કાર્યરત રહેશે. નીટ પરીક્ષાના દિવસે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયને મળેલી ભલામણ અનુસાર 13 સપ્ટેમ્બરે મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 7થી સાંજે 7 સુધી કાર્યરત રહેશે. 14મી સપ્ટેમ્બર પછી કોરોના સમય પૂર્વે જે ટ્રેક પર મેટ્રો દોડતી હતી તે ટ્રેક પર સવારે 11 થી સાંજે 5.10 સુધી કાર્યરત રહેશે.
મેટ્રોમાં મુસાફરી કરવા માગતા તમામ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. માસ્ક અને ફેસ કવર વિનાના મુસાફરોને ગુજરાત સરકારના નિયમ અનુસાર દંડ કરવામાં આવશે. મુસાફરો માટે મેટ્રો સ્ટેશન પર પગથી સંચાલિત સેનેટાઈઝર ઉપલબ્ધ રહેશે. મુસાફરોને સેનેટાઈઝ કરેલા ટોકન આપવામાં આવશે. દરેક મુસાફરો એ આરોગ્યસેતુ એપનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે જેથી નજીકની સંક્રમિત વ્યક્તિ અંગે તુરંત જ જાણકારી મળી શકે. દરેક મુસાફરી બાદ ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવશે.