અમદાવાદ માં રથયાત્રા યોજવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કર્યા બાદ શ્રી જગન્નાથ મંદિર માં હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આજે પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પત્રકારો ને રથયાત્રા અંગે વધુ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, રથયાત્રા ના દીને સવારે 7 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી અને 7 વાગ્યે મુખ્યમંત્રી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે અને કોરોના ગાઈડ લાઈન ના અમલ સાથે રથયાત્રા નીકળશે.
દરમિયાન પોલીસવડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, તમામ ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ મળી 50 ગાડીઓના કાફલા સાથે રૂટ પર નિરીક્ષણ કર્યું હતું.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી આશિષ ભાટિયા અને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના અધિકારીઓએ સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં દર્શન કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક આગેવાનો સાથે પણ રથયાત્રા મામલે ચર્ચા કરી પ્રેમદરવાજા અને દરિયાપુર પહોંચ્યા છે. અહીંથી તેમણે મોસાળ સરસપુરમાં પણ રણછોડજી મંદિરમાં દર્શન કરીને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
રથયાત્રાના માર્ગના તમામ વિસ્તારોમાં સવારે સાતથી બપોરે બે વાગ્યા સુધી ચૂસ્ત કર્ફ્યૂ રહેશે અને પાંચેક કલાકમાં રથ નિજમંદિરે પરત લાવી દેવાશે. આ દરમિયાન લોકોએ તો ભગવાનના દર્શન ઘરે રહીને સોશિયલ મીડિયા અને ટીવી ના માધ્યમ થી જ કરવા અનુરોધ કરાયો છે.
રથયાત્રાના દિવસે અમદાવાદ શહેરના 19 કિ.મી. લાંબા રૂટ પર કર્ફ્યૂ અમલ રહેશે તેથી સંક્રમણ વધે નહીં તે માટે ભક્તો માટે પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ રહેશે.
જ્યારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા આજે પત્રકારો ને જણાવ્યું હતું કે મંદિર તરફથી અપીલ છે કે લોકો ઘરમાં બેસી અને રથયાત્રાનો લાભ લે. રથ નિયત કરેલા સમયમાં પરત આવશે. રસ્તામાં કોઈપણ પ્રસાદની વહેચણી કરવામાં આવશે નહી. રથ નિજ મંદિર પરત ફરશે ત્યારબાદ મંદિરમાં મગ, જાબું, ખીચડાનો પ્રસાદ આપવામાં આવશે. બપોરે ભગવાન રથ પરત આવે ત્યારે લોકો મંદિરમાં આવીને દર્શન કરી અને પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.
આમ કોરોના ની ગાઈડ લાઈન ના પાલન સાથે રથયાત્રા નીકળશે.
