અમદાવાદ ના જુહાપુરા વિસ્તારમાં ખંડણી, મારામારી અને ધાકધમકી આપી પૈસા પડાવવા ના જાકુબી ના ધંધા કરનારા અને 25 થી વધુ ગુના માં સંડોવાયેલા ઈસમ એવા અઝહર કીટલી ને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ની ટીમે ભરૂચ માંથી ઉંચકી લીધો છે. તેની ઝડતી દરમિયાન એક પિસ્તોલ, એક દેશી તમંચો છ જીવતા કારતુસ છરો અને ચપ્પુ વગેરે મળી આવતા પોલીસે કબ્જે લીધા હતા.
ગુજરાત એટીએસના નાયબ પોલીસ અધિક્ષક બી.પી.રોજીયાને જુહાપુરાનો આરોપી અઝહર ઉર્ફે કીટલીને ભરૂચ દહેગામ રોડ પર એક બંગલામાં રહેતો હોવાની મળેલી બાતમી ના આધારે એટીએસની ટીમે બાતમી ના સ્થળે છાપો મારી કીટલી ને દબોચી લીધો હતો.
આરોપી એ અત્યાર સુધીમાં 25થી વધુ ગુનાઓ પૈકી કેટલાક ગુનાઓમાં તે ફરાર હતો. આરોપી પોલીસ ઉપર હુમલો કરવાના ટેવ વાળો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, થોડા સમય પહેલા આરોપીએ પોતાના સાગરીતો સાથે મળી સાંતેજમાં રૂ. 1.5 કરોડની લૂંટ કરી હતી બીજી બાજુ આરોપી પાસેથી હથિયાર મળી આવ્યા છે, જેથી તે કોઈ ગુનાને અંજામ આપવાનો હોય તેવી વાત સામે આવી રહી છે, જેથી પોલીસે તેની હાલ આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
અઝહર ઈસ્માઈલભાઈ શેખ ઉર્ફે અઝહર કીટલી સામે સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે જે પૈકી અમુક કેસમાં ફરિયાદ પાછી ખેંચવાની અરજીઓ મળી હતી. કારણ કે કુખ્યાત અઝહર કીટલી તેની સામે ફરિયાદ કરે તેની પાસેથી પૈસા પડાવી ફરિયાદ પાછી ખેંચાવી લેતો હોવાની વાતો છે જેથી પોલીસ તેના સુધી પહોચી શકે નહીં. વેજલપુરમાં એક ફરિયાદી એ તેના વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી તો તેને પણ ફરિયાદ પાછી લેવાની ધમકી આપી 50 લાખની માંગણી કરી હોવાની વાત સામે આવી છે.