અમદાવાદ શહેર માં આજે ખાસ કરીને પોલીસ બેડા માં ટોક ઓફ ધ ટાઉન બનેલા કિસ્સા માં અહીંના એસજી હાઇવે ઉપર પકડાયેલા કોલસેન્ટરના ડેટા સાથે બે ઈસમો અને કોલસેન્ટર ના માલિક પાસેથી કરાયેલા રૂ. 65 લાખનાતોડ પ્રકરણમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજા અને પીએસઆઇ સહિત પાંચ કોન્સ્ટેબલને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે સસ્પેન્ડ કરતા ભારે સન્નાટો મચી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ આવેલા રિપોર્ટ બાદ પોલીસ કમિશનર દ્વારા આકરા પગલાં ભરવામાં આવ્યા છે.
વિગતો મુજબ લગભગ બે મહિના અગાઉ અહીંના એસજી હાઇવે પર કૉલસેન્ટર ડેટા સાથે બે ઈસમો ઝડપાતા પોલીસે પ્રથમ રૂ. 30 લાખ અને બાદમાં રૂ. 35 લાખ મળી કુલ રૂ. 65 લાખનો તોડ કરવાની વાત બહાર આવતા આ કેસ ની સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. જેનો રિપોર્ટ પોલીસ કમિશનરને સુપ્રત કરાયો હતો. તોડકાંડ અને પોપ્યુલર બિલ્ડરને સવલત આપવા મામલે તાત્કાલિક અસરથી પીઆઇ વાય.બી.જાડેજાની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાં કરી દેવાઈ હતી. રિપોર્ટમાં બેદરકારી આવતાં પીઆઇ, પીએસઆઇ અને પાંચ પોલીસ કોન્સ્ટેબલને પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વાતે ભારે ચકચાર જગાવી છે.
