અમદાવાદ માં બિલ્ડિંગ યુઝ પરમિશન વગર જ ચાલતી અનેક મિલકતો સામે મ્યુનિ. દ્વારા કાર્યવાહી ચાલી રહી છે.
દરમ્યાન આ બધા વચ્ચે નારોલના બિઝનેસ પોઈન્ટ બિલ્ડિંગના 90 દુકાનદારો એ મ્યુનિ.ના સીલ તોડી નાખી ધંધો શરૂ કરી દેતાં મ્યુનિ. 22 કબજેદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે.
કોરોના આવતા લોકો ના ધંધા બંધ થઈ ગયા છે અને તેવે સમયે રોજીરોટી ને અસર થતા વેપારીઓ માં ભારે અસંતોષ જોવા મળ્યો છે.
મ્યુનિ. એસ્ટેટ-ટીડીઓ ખાતાએ 31 મેના રોજ નારોલ સર્કલ પર આવેલા બિઝનેસ પોઇન્ટ બિલ્ડિંગની 90 દુકાનો અને ઓફિસ સીલ કરતા થોડી જ વાર માં ત્યાં આવેલા વેપારીઓએ સીલ તોડી નાખતા આ મુદ્દે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગે 22 વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બીજી બાજુએ બુધવારે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.એ 25 એકમોના 301 યુનિટ સીલ કર્યા છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોમાં 77, મધ્ય ઝોનમાં 72, પૂર્વ ઝોનમાં 63, દક્ષિણ ઝોનમાં 56, દ. પશ્ચિમ ઝોનમાં 18, ઉત્તર ઝોનમાં 8 અને પશ્ચિમ ઝોનમાં 7 યુનિટનો સમાવેશ થાય છે.
છેલ્લા ત્રણ દિવસમાં મ્યુનિ.એ 893 દુકાનો, ઓફિસ અને ક્લાસીસ, 378 હોટેલ રૂમ, 10 સ્કૂલ, રેસ્ટોરાં અને ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સામે કાર્યવાહી કરી છે. ચાંદખેડા, નિકોલ, અમરાઈવાડી, વિરાટનગર અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં કુલ 1507 યુનિટને સીલ કરાયા છે. આમ અમદાવાદ માં બીયું વગર ધમધમતી બિલ્ડીંગ માં કાર્યવાહી શરૂ કરી છે.