અમદાવાદ થલતેજના હેબતપુરમાં ભારે ચકચાર જગાવનાર શાંતિ પેલેસ બંગ્લોઝમાં સિનિયર સિટિઝન દંપતીની હત્યા અને લૂંટ કેસના ચાર આરોપીઓ ને ક્રાઇમ બ્રાંચ ની ટીમે મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતેથી દબોચી લીધા છે. હત્યા અને લૂંટ કર્યા બાદ ચારેય આરોપીઓ તેમના વતન ભાગી ગયા હતા. ક્રાઇમ બ્રાંચની ટીમો તેમની પાછળ તેમના વતન પહોંચી હતી અને વારાફરથી ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમ ચારેય આરોપીઓને લઈને અમદાવાદ આવી પહોંચશે.
અમદાવાદ માં આ ઘટના એ ભારે ચકચાર જગાવી હતી અહીં શાંતિ પેલેસમાં રહેતા વૃદ્ધ દંપતી અશોકભાઈ અને જ્યોત્સનાબહેન ની આ ઇસમો એ ખુબજ નિર્દયતા થી બંને ના ગળાં કાપી હત્યા કરી નાખી હતી અને ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા. હત્યારાઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમોએ 200 કરતાં પણ વધારે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં આરોપીઓ ઓળખાઈ ગયા હતા. અશોકભાઈ અને જ્યોત્સનાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હોવાનું પોલીસ તપાસ માં બહાર આવતા ક્રાઇમ બ્રાંચની 4 જેટલી ટીમો ગિઝોરા પહોંચી હતી અને ત્યાંની સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી આરોપીઓને પકડવા વોચ ગોઠવાઈ હતી, જેમાં રવિવારે રાતે એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. ત્યાર બાદ તેણે આપેલી માહિતીના આધારે અન્ય 3 સાગરિતોને પણ પોલીસે ઝડપી લીધા હતા.
ચારેય પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા પૈસા તેમ જ જ્યોત્સનાબહેનના દાગીના-હત્યા કરવા માટે વાપરેલા ચપ્પુ તેમ જ 2 બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોમવારે સાંજે ચારેય આરોપીઓ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતા ટીમો તેમને લઈને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ છે. મંગળવારે બપોર સુધીમાં ક્રાઇમ બ્રાંચની ટીમો ચારેયને લઈને અમદાવાદ આવી જશે. આમ લૂંટ ના ઇરાદે વૃદ્ધ દંપતી ની હત્યા કરનારા પોલીસ સકંજામાં આવી ગયા હતા.